Home Blog Page 2

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં બે થી ચાર ઇંચ વરસાદ, ખેડૂતોના હૈયે ટાઢક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-09-2023

માળીયા 4, ટંકારા સાડા ત્રણ, મોરબી અને હળવદમાં ત્રણ ઇંચ: કોઝવે ડાયવર્ઝનના અમુક રસ્તા બંધ: રંગપર પાસે ટ્રેક્ટર તણાયું: બે વ્યક્તિનો બચાવ

મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સાથો સાથ ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને પાણીની જરૂર હતી ત્યારે મેઘરાજાએ મહેર કરતા હાલમાં ખેડૂતોના હૈયે પણ ટાઢક છે. જો છેલ્લી 24 કલાકની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે અને તેમાં બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પાંચેય તાલુકા નોંધાયો છે જોકે ધીમીધારે વરસાદ પડ્યો હોવાથી કોઈ જગ્યાએ નુકસાનીના સમાચાર સામે આવેલ નથી. પરંતુ અમુક વિસ્તારોમાં રોડ રસ્તા, કોઝવે અથવા તો ડાઈવર્ઝનમાં વરસાદી પાણી આવી જવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તે હકીકત છે.

સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતો મેઘરાજા ઉપર મીટ માંડીને બેઠા હતા કારણ કે છેલ્લા એક મહિનાથી વરસાદ પડ્યો ન હતો અને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ હતી જેથી કરીને નર્મદા સહિતની કેનાલોમાં પાણી છોડીને ખેડૂતોના જેટલા પાકને બચાવી શકાય તે પાકને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે મેઘરાજાએ મહેર કરતા મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર હાલમાં પાણી પાણી થઈ ગયું છે અને ખેડૂતોને પાક નિષ્ફળ જવાની જે ચિંતા હતી તે દૂર ધકેલાઈ ગઈ છે.મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં કપાસ, મગફળી સહિતના જુદા જુદા પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા એક મહિનાથી વરસાદ ન પડ્યો હોવાથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને બચાવવા મુશ્કેલ બન્યા હતા

ત્યારે કેનાલમાં વહેતા પાણીમાંથી સિંચાઈનું પાણી લઈને ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે થઈને મથામણ કરી રહ્યા હતા જો કે છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મોરબી જિલ્લા ઉપર મહેરબાની કરતા મોરબી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને ખેડૂતોમાં ખેતરોમાં ઊભા પાકને હાલમાં પાણી મળી જતા તેના પાકને જીવતદાન મળ્યું છે. જિલ્લામાં પાંચ તાલુકાનો સમાવેશ થાય છે જેમાં છેલ્લી 24 કલાકમાં માળીયા મીયાણામાં ચાર ઇંચ, મોરબી અને હળવદમાં ત્રણ ઇંચ, ટંકારામાં સાડા ત્રણ ઇંચ અને વાંકાનેર તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયેલ છે અને ધીમીધારે વરસાદ વરસ્યો હોવાથી હાલમાં કોઈ જગ્યાએ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી

પરંતુ સતત બે દિવસથી વરસાદ વરસતો હોવાના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક સતત ચાલુ છે અને મોરબી નજીકના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ અને ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલીને તેમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. નદીમાં પાણી છોડતા પહેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ડેમના નીચેના વિસ્તારમાં આવતા ગામના સરપંચો સહિતના આગેવાનોને જાણ કરીને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં ન જોવા માટે તેને સૂચના આપવામાં આવી હતી.જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે જુદા જુદા વિસ્તારોમાં કોઝવે કે પછી રોડ રસ્તાના કામ ચાલુ હોય ત્યાં ડાયવર્ઝનના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી

વળ્યા હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેમાં ખાસ કરીને મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી અણીયારી ચોકડી સુધી જે રસ્તો બનાવવાની કામગીરી ચાલુ છે તેમાં રંગપર ગામ પાસે પુલિયું બનાવવા માટેનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ ત્યાં જે ડાઈવર્ઝનનો રસ્તો આપવામાં આવ્યો છે ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી જેથી કરીને ડાયવર્ઝનના રસ્તા ઉપર લગભગ દોઢથી બે ફૂટ જેટલું પાણી વહેતું હોવાના કારણે તે રસ્તો ગઈકાલે સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી બંધ થઈ ગયો હતો જેથી વાહનોના થપ્પા લાગી ગયા હતા.

આવી જ રીતે રંગપર ગામ પાસે આવેલ મહાકાળી માતાજીના મંદિર તરફ જવાના રસ્તા ઉપરથી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો પોતાનું ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી હોવા છતાં તેમાં ટ્રેકટર ઉતાર્યું હતું અને ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાઈ જવાના કારણે પાણીમાં પડ્યું હતું જોકે ટ્રેક્ટરમાં બેઠેલા બંને વ્યક્તિઓને તરતા આવડતું હોવાથી તે બંનેનો આબાદ બચાવ થયો હતો તો વેણાસર ગામથી ખાખરેચી ગામ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર પણ વરસાદી પાણી આવી જવાના કારણે વેણાસરથી ખાખરેચી ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને આ રસ્તો બે વર્ષ પહેલા જ બનાવવામાં આવેલ છે તેમ છતાં પણ હાલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે તેવું ગામના લોકો જણાવી રહ્યા છે.

મોરબીના નવા બસ સ્ટેશનની પાછળની દીવાલ તૂટી ગઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-09-2023

મોરબીમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે તેમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાછળની છાત્રાલય રોડ ઉપરની દીવાલ કોઈ કારણોસર તૂટી ગઈ હતી શાળા કોલેજમાં રજા હોવાથી ટ્રાફિક ન હોવાથી દુર્ઘટના સહેજમાં ટળી છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે.

મોરબીમાં ટીબીના દર્દીઓને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના હસ્તે પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-09-2023

‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીઓને પોષણક્ષમ આહારયુક્ત કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

‘ટીબી મુક્ત ભારત’ અભિયાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની અગત્યતા વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાએ દર્દીઓને મફત નિદાન સારવાર તથા સરકારશ્રી દ્વારા અપાતી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત તેમના દ્વારા ટીબી અંગે સામાજિક જાગૃતતા ફેલાય તે અંગે પણ યોગ્ય સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનો ૪૦ જેટલા ટીબીના દર્દીઓએ લાભ લીધો હતો જેમને મહાનુભાવોના હસ્તે પોષણક્ષમ આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી.

ગણપતિ બાપા મોરયાના જયઘોષ સાથે દેશભરમાં ગણેશમહોત્સવના શ્રી ગણેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-09-2023

ગણેશ મહોત્સવના આજથી મોરબી સહીત દેશભરમાં શ્રી ગણેશ થયા છે. મોરબી શહેરમાં વરસાદના વિઘ્ન વચ્ચે ઠેર ઠેર ઉભા કરવામાં આવેલ પંડાલોમા આજે ભાવભેર ભગવાન ગણેશની સ્થાપન વિધિ કરવામાં આવી છે. આ તકે તમામ પંડાલોમાં ભાવિકો મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને દસ દિવસ પંડાલોમા દુંદાળાદેવનું પૂજન, અર્ચન, મહાઆરતી અને પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.

આજે આ તમામ વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમા ગણપતિ બાપા મોરિયાના જય ઘોષ અને વાજતે ગાજતે દુંદાળાદેવની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. દસ દિવસ સુધી સવાર સાંજ ભગવાન ગણેશનું પૂજન અર્ચન અને મહાઆરતી તેમજ રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજી આરાધના કરવામાં આવશે. જો કે આજે વરસાદના વિઘ્ન વચ્ચે પણ તમામ જગ્યાએ વિઘ્નહર્તાનું ભક્તિભાવથી સ્થાપન કરવામાં આવ્યું છે.

આવતા 24 કલાક કચ્છ-મોરબી માટે ભારે, અતિભારે વરસાદ પડશે : ડો.મનોરમા મોહંતી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-09-2023

છેલ્લા બે દિવસથી રાજસ્થાન ઉપરનાં સાયકલોનિક સર્કયુલેશનની અસર હેઠળ સૌરાષ્ટ્ર-ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યો છે અને ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને આ ભારેથી અતિભારે વરસાદનું જોર હજુ આવતા 24 કલાક રહેશે તેમ રાજય હવામાન કચેરીના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ જણાવેલ હતું.

વધુમાં તેઓએ જણાવેલ હતું કે, હજુ આવતા 24 કલાક એટલે કે આવતીકાલે સવાર સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને આવતા 24 કલાક કચ્છ અને મોરબી જિલ્લા માટે ખુબ ભારે છે.

કારણ કે આ બન્ને જીલ્લામાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્રનાં જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ઝડપી પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. ઉપરોકત જીલ્લાઓમાં આવતા 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી છે.

વધુમાં ડો. મનોરમા મોહંતીનાં જણાવ્યા અનુસાર આવતીકાલ બપોરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને 24 કલાક બાદ રાજયમાં ઠેર ઠેર માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે સાયકલોનિક સર્કયુલેશન 24 કલાક બાદ નબળુ પડી જશે આથી રાજયમાં વરસાદનું પ્રમાણ પણ ઓછુ થઈ જશે.

LATEST NEWS

error: Content is protected !!