દેશ-વિદેશથી 108 ફૂટ લાંબી અગરબત્તી, 2100 કિલોના ઘંટ સહિતની ભેટ અયોધ્યા પહોંચી

રામ મંદિરને દેશ-વિદેશથી મોકલાઈ રહી છે ખાસ ભેટ

સીતા માતાના પિયર નેપાળના જનકપુરમાંથી હજારો ભેટોથી ભરેલ 30 ટ્રક અયોધ્યા પહોંચ્યા : રાવણની નગરી શ્રીલંકાથી એક પ્રતિનિધિમંડળ અશોક વાટીકાથી ખાસ ભેટ લઈને અયોધ્યા પહોંચ્યું.

જે ઘડીની લોકો સેંકડો વર્ષથી રાહ જોઈ રહ્યા છે તે 22 મી જાન્યુઆરી આવી રહી છે. અયોધ્યામાં શ્રીરામ જન્મ ભૂમી સ્થળે નવ નિર્મિત મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.તેનો માત્ર દેશમાં જ નહિં વિદેશમાં પણ ઉત્સાહનો માહોલ છે.વિદેશમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માહોલ છે ત્યારે રામમંદિર માટે દેશ-વિદેશમાંથી ખાસ ભેટ અયોધ્યામાં મોકલાઈ રહી છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિરને મોકલવામાં આવેલી ખાસ ભેટોમાં 108 ફૂટ લાંબી અગરબતી, 2100 કિલોનો ઘંટ, 1100 કિલો વજનનો વિશાળ દિપક, સોનાની ચાખડી, 10 ફૂટ ઉંચુ તાળુ-ચાવી અને આઠ દેશનાં સમગ્ર એક સાથે દર્શાવતી ઘડીયાળ પણ સામેલ છે.

આ અનોખી ભેટો બનાવનાર કલાકારોને આશા છે કે આનો ઉપયોગ ભવ્ય મંદિરમાં કરવામાં આવશે. રામ મંદિરને દેશના બધા ભાગો ઉપરાંત વિદેશોમાંથી પણ ભેટો મળી રહી છે.નેપાળમાં જનકપુરીમાં સીતાજીની જન્મ ભૂમિમાંથી ભગવાન રામ માટે 3 હજારથી વધુ ભેટ અયોધ્યા પહોંચી છે આભુષણ અને કપડા સહીત ભેટોને આ સપ્તાહે નેપાળના જનકપુર ધામ રામ જાનકી મંદિરથી લગભગ 30 વાહનો દ્વારા અયોધ્યા લઈ જવામાં આવી હતી.

તો શ્રીલંકાથી એક પ્રતિનિધિ મંડળ પણ અશોક વાટીકાથી એક વિશેષ ઉપહાર લઈને અયોધ્યા પહોંચ્યુ હતું. પ્રતિનિધિ મંડળે મહાકાવ્ય રામાયણમાં વર્ણિત અશોક વાટીકાથી લાવવામાં આવેલ એક શિલાની ભેટ આપી હતી.

♦ અયોધ્યામાં ડગલેને પગલે થશે રામ દર્શન

અયોધ્યા: અયોધ્યામાં પગ પગ પર શ્રીરામના દર્શન થશે. શ્રીરામની સમૃદ્ધ વંશ પરંપરાની કથા શ્રીરામ સ્તંભ કહેશે.તો ધર્મપથ પર શ્રધ્ધાળુ પ્રભુ રામનાં જીવનની દરેક ઘટનાઓને સચિત્ર નિહાળશે. સરયુ નદીનાં કિનારે ઘાટ પર 75 એકરમાં પંચવટી દ્વિપ વિકસીત કરવામાં આવ્યો છે. જયાં વૈદિક પરંપરાનો ઈતિહાસ જાણી શકાશે.

રામ અનુભવ કેન્દ્રમાં તુલસીકૃત રામ ચરીત માનસનાં સાતેય કાંડનું વિવરણ ચારે બાજુ જોવા મળશે. રામના મીઠાના પુતળાનું વેકસ મ્યુઝીયમ પણ બનાવાશે. આ મ્યુઝીયમમાં મીણથી થ્રી-ડી સ્વરૂપમાં રામકથા દર્શાવવામાં આવશે.