21 ફેબ્રુઆરીથી રાજ્યમાં તમામ સ્કૂલ અને કોલેજોમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-02-2022

રાજ્યમાં સતત કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને પગલે હવે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલાં પ્રતિબંધો ધીમે-ધીમે ઘટાડવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આજથી બે વર્ષ બાદ આંગળવાડી અને પ્રી-સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હવે તમામ શાળા અને કોલેજોમાં સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

કોર કમિટીમાં થયેલી ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા 21 ફેબ્રુઆરી 2022થી રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ માટે શાળા અને કોલેજો દ્વારા કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે તેવું પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શિક્ષણના વિશાળ જાહેર હિતમાં માન. મુખ્યમંત્રીના માર્ગદર્શન,વિચાર વિમર્ષ અને સુચના મુજબ આજની કોર કમિટીમાં થયેલ ચર્ચા અન્વયે તા.૨૧/૦૨/૨૦૨૨, સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારશ્રીએ મહત્વનો નિર્ણય લીધો છે.

અન્ય એક ટ્વીટમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.૨૧/૦૨/૨૦૨૨ સોમવારથી થશે.