ગુજરાતની 10 બેઠકો પર છે સમગ્ર દેશની નજર, ભાજપ કોંગ્રેસના આ ધુરંધરો છે મેદાને

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન થનાર છે, ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર બંધ થઈ ગયો છે. હવે ડોર ટુ ડોર મીટિંગ, ખાટલા પરિષદ અને બૂથ મેનેજમેન્ટ થકી જીતવા માટે મરણીયા પ્રયાસ થશે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બધી બેઠકો જીત્યા પછી એવી ગણતરી હતી કે 2024માં ભાજપ માટે વિજય નિશ્ચિત છે અને પ્રતિસ્પર્ધી કરતા લીડ કેટલી વધારે મેળવવી એ જ લક્ષ્ય હતું, પરંતુ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત અને પ્રચારના પ્રથમ પખવાડિયામાં તો ભાજપ માટે ચિત્ર બદલાઇ ગયું.

2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને AAP 2024ની લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને AAPને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે. ગુજરાતની એવી 10 બેઠકો પર સમગ્ર દેશની નજર છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસમાં ટેન્શનનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ 10 બેઠકો પર ભાજપ કોંગ્રેસના અનેક ધુરધરો મેદાને છે ત્યારે ત્રીજા તબક્કાની હોટ સીટો પર એક નજર કરીએ…

1. ગાંધીનગર, ગુજરાત

દેશના ગૃહમંત્રી અમિત શાહ અહીંથી ભાજપ વતી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ત્રીસ વર્ષથી ભાજપ પાસે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ 1999થી અહીંથી જીતતા આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ પહેલીવાર અહીંથી લડ્યા હતા અને લગભગ સાડાપાંચ લાખ મતોથી જીત્યા હતા. તો કોંગ્રેસે આ બેઠક પરથી પાર્ટી સેક્રેટરી સોનલ રમણભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. તેઓ મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં પાર્ટીનાં સહ-પ્રભારી છે. તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા સામે ચૂંટણી લડવામાં તેમને કોઈ સંકોચ નથી.

રાજકોટના રૂપાલાની આગે ભાજપને દઝાડ્યું

2. રાજકોટઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતની 26 બેઠકો પરની લડાઈ એકતરફી માનવામાં આવતી હતી, પરંતુ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજ્યમાં હોળી પછી ક્ષત્રિય સમાજમાં વિરોધ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે આખા દેશની નજર રાજકોટ સીટ પર છે. જ્યારે ભાજપે અમરેલીના રહેવાસી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મોટો જુગાર રમતા અમરેલીના જ પરેશ ધાનાણીને રાજકોટના મેદાનમાં ઉતાર્યા છે. ધાનાણી ગુજરાતમાં વિપક્ષી નેતા રહી ચૂક્યા છે. તેમણે 2002ની વિધાનસભા ચૂંટણીમાં પણ રૂપાલાને હરાવ્યા હતા. રાજકોટમાં ધાનાણીની એન્ટ્રી બાદ હવે તમામની નજર આ બેઠક પર ટકેલી છે. ધાનાણી 2002નું પુનરાવર્તન કરશે કે રૂપાલા 22 વર્ષ પહેલા રાજકોટની લડાઈમાં મળેલી હારનો બદલો લેશે તેના પર હવે સૌની નજર છે.

આપ આ સીટ પરથી ખોલવા માગે છે ખાતુ…

3. ભરૂચ લોકસભા : ગુજરાતની ભરૂચ બેઠક આદિવાસી પ્રભુત્વવાળી છે. આ બેઠક છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ પાસે છે. પાર્ટીના નેતા મનસુખ વસાવા છ વખત જીત્યા છે. પાર્ટીએ તેમને સાતમી વખત મેદાનમાં ઉતાર્યા છે. AAP આ સીટ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડી રહી છે. 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં રાજકોટ પછી સૌથી હોટ સીટ તરીકે ઉભરી આવી હોવાથી ભારત આદિવાસી પાર્ટી (BAP) ના રાષ્ટ્રીય કન્વીનર છોટુભાઈ વસાવાએ તેમના નાના પુત્રને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ભરૂચમાં ભાજપે તાજેતરમાં વસાવાને જ્યારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. છોટુ વસાવા પોતે 2019ની ચૂંટણી લડ્યા હતા, આ વખતે તેમણે તેમના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. આ સીટ પર સૌથી વધારે રસાકસી જોવા મળી છે. આપ અહીં ગુજરાતમાં ખાતું ખોલવાની આશા રાખી છે. તો ભાજપ આપના સૂપડાં સાફ કરવા માગે છે.

કચ્છમાં વિનોદ ચાવડાનો દબદબો..

4. કચ્છ : કચ્છ લોકસભા સીટમાં અબડાસા, માંડવી, ભૂજ અંજાર, ગાંધીધામ, રાપર ઉપરાંત મોરબી વિધાનસભા વિસ્તાર પણ આવી જાય છે. 2022માં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં આ સાતેય બેઠકો પર ભાજપને જીત મળી હતી. વળી કચ્છ લોકસભા સીટ પર છેલ્લી સાત ટર્મથી ભાજપનો જ વિજય થતો આવ્યો છે. કચ્છ લોકસભા બેઠક પર આ વખતે ભાજપના અનુભવી નેતાની રાજકીય લડાઈ કોંગ્રેસના નવોદિત નેતા સાથે છે. ભાજપે વિનોદ ચાવડાને ત્રીજી વખત ટિકિટ આપી છે. જ્યારે મહેશ્વરની સમાજમાંથી આવતા નિતેશ લાલન કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર છે.

5. ગેનીબેન ઠાકોર મજબૂત નેતા કેમ..

બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હાલ લોકસભાની 2024 ની ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી મજબૂત ઉમદેવાર તરીકે જોવા મળ્યા છે. બનાસની બેન તરીકે ઓળખાતા ગેનીબેનને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. ત્યારે ગેનીબેનનું પલડુ આ ચૂંટણીમાં કેટલું ભારે છે તેના પર એક નજર કરીએ તો, ગેનીબેન ઠાકોર છેલ્લા 28 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને બે વખત વાવના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જેથી પાર્ટીએ હવે તેમને લોકસભામાં ટિકિટ આપી છે. ગેનીબેન હંમેશા લોકો વચ્ચે રહેતા હોવાથી લોકો તેમને અસાનીથી મળી શક્તા હોવાથી મતદારોનો તેમની પ્રત્યે વિશેષ ઝુકાવ જોવા મળે છે. આ સામે ભાજપે રેખાબેન ચૌધરીને ઉભા રાખ્યા છે. એમને શંકર ચૌધરીનો સીધો સપોર્ટ મળી રહ્યો છે. બનાસકાંઠા એ ભાજપ અને કોંગ્રેસ બંનેનો ગઢ ગણાય છે. ભાજપે અહીં આર યા પારની લડાઈ લડી લેવાનો નિર્ણય કર્યો છે. રેખાબેન ચૌધરી એ કદાવર નેતા છે. ભાજપે અહીં સૌથી વધારે ઓપરેશન લોટસ ચલાવ્યું છે અને કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં લીધા છે.  ગેનીબેન રાજકારણના અખંડ ખેલાડી તો સામે પક્ષે રેખાબેન માટે રાજકારણ નવું સોપાન છે. ગુજરાતના કદાવર નેતા શંકર ચૌધરીને 2017માં ગેનીબેન હરાવતા વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરીએ વાવ સીટ બદલીને થરાદ ઉપરથી લડવું પડ્યું હતું. ગેનીબેન જાતિવાદી રાજકારણ ન કરતા હોવાથી અન્ય સમાજના લોકો નો તેમની ઉપર વિશ્વાસ છે.

પોરબંદર પર દેશના આરોગ્યમંત્રીનું ભવિષ્ય દાવ પર…

6. પોરબંદર : ગુજરાતની પોરબંદર બેઠક પર દેશભરની નજર છે અહીંથી મોદી સરકારના આરોગ્યમંત્રી ચૂંટણી લડી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. ભાજપે માંડવિયાની જીત માટે ઓપરેશન લોટસ અંતર્ગત અર્જુંન મોઢવાડિયાને લઈને મહેર સમાજની વોટબેંક ભાજપમાં સેરવવાનો પ્રયાસ કર્યો છે પણ માંડવિયા માટે અહીંથી જીત એટલી આસાન નહીં હોય. આ બેઠક પર કોંગ્રેસે 2019 લોકસભાના ઉમેદવાર લલિત વસોયાને અહીંથી રીપિટ કર્યા છે. ગત લોકસભામાં ભાજપે રમેશ ધડૂક પર આ સીટ પર દાવ ખેલ્યો હતો. જેમાં ધડૂક અહીંથી વિજેતા બન્યા હતા. આ સીટના સમીકરણો જોઈએ તો 7 વિધાનસભા સીટો ધરાવતી આ લોકસભામાં 2 બેઠકો કોંગ્રેસ શાસિત હોવાથી ભાજપે માંડવિયાને આસાનીથી જીતાડવા માટે 2 સીટના ધારાસભ્યોને ખેલ પાડી ભાજપમાં ભેળવી લીધા છે. લોકસભા મતવિસ્તારમાં સૌથી વધુ મત લેઉવા પટેલ સમુદાયના છે. મહેર સમાજની વસ્તી બીજા નંબરે છે અને આ નિર્ણાયક છે. કોળી અને લુહાણા સમુદાયની વસ્તી ત્રીજા ક્રમે આવે છે. માંડવિયા પર બહારના વ્યક્તિનું ટેગ હોવાથી અહીં સ્થાનિક નેતાઓનું સમર્થન જરૂરી છે.

ક્ષત્રિયો આ બેઠક પર ભાજપને નડશે

7 . સુરેન્દ્રનગર : ગુજરાતમાં સૌથી વધારે વિવાદ છે એ બેઠકમાં સુરેન્દ્રનગર બેઠકનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિનો દબદબો રહે છે. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. આ સિવાય ક્ષત્રિયનો ભાજપ સામે વિરોધ પણ અહીં મતદાન માટે મહત્ત્વનું પરિબળ રહેશે. સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપ સામે કોંગ્રેસનું પલડું ભારે બન્યું છે કારણ કે ક્ષત્રિય વિવાદ અને કોળી સમાજ સામે મંત્રી કનુભાઈના નિવેદનને કારણે કોળી સમાજ લાલઘૂમ છે. આ બેઠક પર આ બંને જ્ઞાતિઓનું જબરદસ્ત પ્રભુત્વ છે. ભાજપ વિરુદ્ધમાં અહીં જ્ઞાતિવાદ ચાલ્યો તો ચંદુ શિહોરાને ભારે પડશે. સાથે પ્લસ પોઈન્ટ એ છે કે અહીં ચુંવાળિયા જ્ઞાતિના ઉમેદવાર વિજેતા થતા આવ્યા છે. ચંદુ શિહોરાને જ્ઞાતિ સમીકરણોને આધારે ટિકટ અપાઈ છે.

સાબરકાંઠામાં સ્થાનિક નારાજગી..

8. સાબરકાંઠા : ઉત્તર ગુજરાતની આ બેઠક પર ઠાકોર અને આદીવાસી સમાજનો દબદબો છે. ભાજપે અહીં ઉમેદવાર બદલ્યા છતાં મામલો તંગ બની ગયો હતો. આ સીટ પર સૌથી વધારે ભાજપે ધ્યાન આપવાની જરૂર પડી છે.  સાબરકાઠામાં ભીખાજી ઠાકોરનાં બદલે કોંગ્રેસમાંથી શિક્ષિકા શોભના બારૈયાના નામની જાહેરાત થતાં ભીખાજી ઠાકોરના ટેકેદારોએ વિરોધ કર્યો હતો. આ બેઠક પર કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ઇડર-વડાલી વિસ્તાર આ બેઠકમાં સૌથી મહત્ત્વનો છે. અહીં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ઉગ્ર વિરોધ છે, જેની અસર લોકસભાના મતદાનમાં જોવા મળે તેવી શક્યતા છે. અહીં 20 ટકા ઠાકોર મતદારો છે ત્યારે ક્ષત્રિય સમાજના ભાજપ સામેનાં વિરોધની પણ અહીં અસર જોવા મળી શકે છે. તુષાર ચૌધરીને આદીવાસી મતબેંકનો પણ ફાયદો મળી શકે છે. સ્થાનિકોની નારાજગીને પગલે સાબરકાંઠા હોટ બેઠક બની છે પણ એ ના ભૂલો કે ભાજપ અહીં વન વે વિજેતા બનતું આવ્યું છે.

આણંદ બેઠક પર ક્ષત્રિય વિવાદની અસર

9. આણંદ :  ગુજરાતમાં આણંદ બેઠક આજે હોટ સીટ બની ગઈ છે. ભાજપે અહીં મિતેશ પટેલને રીપિટ કર્યા છે. કોંગ્રેસે અહીં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. ભરતસિંહ સોલંકીએ ચૂંટમી લડવાની ના પાડતાં કોંગ્રેસે અમિત ચાવડાને આ બેઠક લડવા માટે તૈયાર કર્યા હતા. ચાવડાના દાદા અહીં 5 વાર સાંસદ રહી ચૂક્યા છે. ક્ષત્રિય આંદોલનની અસર આખા ગુજરાતમાં જોવા મળી, ત્યારે મિતેશ પટેલના પણ કેટલાક વીડિયો વાયરલ થયા બાદ અહીં પણ ભાજપ સામે નારાજગી જોવા મળી. અહીં કોંગ્રેસનું નેટવર્ક ઘણું મજબૂત છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પ્રભુત્વ મેળવવા માટે જાહેર સભા કરી છે. પરંતુ ક્ષત્રિય આંદોલનની અસર, ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પક્ષ માટે નારાજગી જેવા પરિબળો આણંદ બેઠક ભાજપ માટે એક પડકાર ઉભો કરી શકે છે. આણંદ બેઠક પર ક્ષત્રિય આંદોલન અસર કરી શકે છે. ભાજપે મિતેશ પટેલને રિપિટ કર્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે.

પાટણમાં ઠાકોર vs ઠાકોર વચ્ચે મહાજંગ

10 . પાટણ : ગુજરાતમાં પાટણની સીટ મહત્વની છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર વચ્ચે સીધી લડાઈ છે, સમાજમાં ચંદનજી ઠાકોર પ્રભુત્વ ધરાવે છે. અહીં ભાજપ માટે સિદ્ધપુર, ચાણસ્મા, અને ખેરાલુ ગઢ છે તો રાધનપુર અને પાટણ પડકાર છે. અહીં વડગામમાં ક્ષત્રિય અને લઘુમતી, દલિત પ્રભુત્વ ધરાવે છે, તો ક્ષત્રિય આંદોલનની અસર કેવી રહેશે એ પણ આ બેઠકને સૌથી વધારે અસર કરશે. ચંદનજી ઠાકોર એ જાયન્ટ કિલર ગણાય છે. જેઓએ એક સમયે બળવંતસિંહ રાજપૂતને સિદ્ધપુરમાંથી હરાવ્યા હતા. સિદ્ધપુર ભલે ભાજપનો ગઢ કહેવાતી પણ ચંદનજી ઠાકોરનો પણ અહીં એટલો જ દબદબો છે. ચંદનજી ઠાકોર ભાજપ માટે મુસિબતનું કારણ બની શકે છે.