SBIના ગ્રાહકોએ 1 ફેબ્રુઆરીથી જીએસટી સાથે વધુ એક ચાર્જ આપવો પડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-01-2022

ભારતીય સ્ટેટ બેંકએ 1 ફેબ્રુઆરી 2022થી વધુ એક ચાર્જ વધારવાની તૈયારી કરી દીધી છે. બેંકે 1 ફેબ્રુઆરીથી આઈએમપીએસ ટ્રાન્જેક્શનમાં એક નવો સ્લેબ જોડ્યો છે.

રિઝર્વ બેકએ 1 જાન્યુઆરીથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મફત મર્યાદા પછીના ટ્રાન્જેક્શન ફીમાં વધારો કરી દીધો છે. તો, હવે ભારતીય સ્ટેટ બેંક 1 ફેબ્રુઆરી 2022થી વધુ એક ચાર્જ વધારવાની તૈયારી કરી લીધી છે. જો તમારું ખાતું ભારતીય સ્ટેટ બેંકમાં છે તો તમને ઝટકો લાગી શકે છે. એસબીઆઈની વેબસાઈટ મુજબ, બેંકે 1 ફેબ્રુઆરી, 2022થી આઈએમપીએસ ટ્રાન્જેક્શનમાં એક નવો સ્લેબ જોડ્યો છે, જે 2 લાખથી 5 લાખ રૂપિયાનો છે.

2 લાખથી 5 લાખ રૂપિયાની વચ્ચે આઈએમપીએસ ટ્રાન્જેક્શનનો ચાર્જ 20 રૂપિયા અને જીએસટી લાગશે. ભારતીય રિઝર્વ બેંકએ ઓક્ટોબર 2021માં આઈએમપીએસ દ્વારા ટ્રાન્જેક્શનની મર્યાદાને 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી હતી. આઈએમપીએસ સેવા બેંકો તરફથી અપાતી એ સર્વિસ છે, તેના દ્વારા રિયલ ટાઈમમાં ઈન્ટરબેંક ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહે છે.

નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી એટીએમમાંથી કેશ ઉપાડવાનું મોંઘું થઈ ગયું છે. 1 જાન્યુઆરીથી ગ્રાહકોને ફ્રી એટીએમ ટ્રાન્જેક્શનની મર્યાદા પૂરી થયા પછી હાલની સરખામણીએ વધુ ચાર્જ આપવો પડી રહ્યો છે. ગત વર્ષ સુધી બેંકના એટીએમ કે કેશ રિસાઈક્લિર મશીનથી કેશ અને નોન-કેશ ટ્રાન્જેક્શન કરવા પર મહિનામાં પહેલા 5 નાણાકીય ટ્રાન્જેક્શન ફ્રી હતા. તે પછી 20 રૂપિયા પ્રતિ નાણાકીય ટ્રાન્જેક્શનનો ચાર્જ લાગતો હતો, પરંતુ હવે 1 જાન્યુઆરી, 2022થી આ ચાર્જ 21 રૂપિયા પ્રતિ નાણાકીય ટ્રાન્જેક્શન થઈ ગયો છે.

ગત વર્ષે જૂન મહિનામાં જ ભારતીય રિઝર્વ બેંકએ એટીએમ સર્વિસ ચાર્જ વધારવાની મંજૂરી આપી દીધી હતી ભારતીય રિઝર્વ બેંકના જૂનના એક આદેશ મુજબ, બેંકને એટીએમ સર્વિસ ચાર્જના રૂપમાં 20 રૂપિયાન બદલે 21 રૂપિયા વસૂલવાની મંજૂરી અપાઈ હતી. સામાન્ય રીતે બેંક પોતાના એટીએમથી દર મહિને 5 વખત ફ્રી ટ્રાન્જેક્શનની મંજૂરી આપે છે. તેમાં નાણાકીય અને બિન નાણાકીય ટ્રાન્જેક્શન સામેલ છે. જો વાત મહાનગરોની કરીએ તો બીજી બેંકના એટીએમથી પણ મહિનામાં 3 વખત સુધી ફ્રી ટ્રાન્જેક્શનની સુવિધા છે. નાના શહેરોમાં આ સંખ્યા દર મહિને 5 વખત સુધીની છે.