ગુજરાતમાં કોવિડ મૃતકોને સહાય આપવા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોરોનાથી મૃતકોના પરિવારજનો જો ગુજરાતનું જ રેશનકાર્ડ ધરાવતા હશે, તો જ તેમને સહાય ચૂકવવામાં આવશે. આથી ગુજરાત બહારથી આવેલા લોકો સહાયથી વંચિત રહેશે.
આથી હવે ગુજરાતનું રેશનકાર્ડ ધરાવનારા લોકોને જ સરકારી સહાય મળશે. જ્યારે બહારના રાજ્યમાંથી અહીં આવ્યા હોય અને કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેઓને કોઈ સહાય નહીં મળે.
જણાવી દઈએ કે, ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેની કુલ સંખ્યા 10,088 રજૂ કરી છે. આ મૃત્યુઆંક સરકારી અને ખાનગી હોસ્પિટલ બન્નેનો છે.
કોરોના કાળમાં ગુજરાતના નાગરિકોને સારવાર આપવામાં નિષ્ફળ રહેલી ભાજપ સરકાર હવે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વળતર ચૂકવવામાં પણ ઠાગાઠૈયા કરી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલોમાં બેડ, ઈન્જેક્શન, ઑક્સિજન અને વેન્ટિલેટર સહિતના સાધનો ખરીદવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો ગુજરાત કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે.