મોરબીની એન્જીનીયરીંગ કોલેજના જુના ઐતિહાસિક બિલ્ડીંગને હેરીટેજ સાઈટ જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-10-2021

મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન દ્રારા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજુઆત કરીને મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના એતિહાસિક બિલ્ડીંગને હેરીટેજ સાઈટ જાહેર કરવા રજૂઆત કરવામા આવેલ છે.

મોરબીમાં એન્જીનીયરીંગ કોલેજ દેશની પ્રથમ દસ કોલેજો માંહેની એક છે.1951 ની સાલમાં અહીં કોલેજ ચાલુ કરવા માટે તે સમયના મોરબી સ્ટેટ રા.રા.મહારાજશ્રીએ પોતાના જુના મહેલના તમામ મકાનો દાનમાં આપેલા અને આમ એક વૈભવી અને એતિહાસિક મહેલના ઓરડાઓમાં એન્જીનીયરીંગ કોલેજ ચાલુ કરાવેલ હતી.જેનાથી ગુજરાત સરકાર સારી રીતે વિદિત છે.આ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરીને કેટલાય વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવી છે અને તેમના કેટલાયે ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્યોમાં અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ હોદાઓ પર પણ સેવા આપેલ છે અને હજુ પણ આ ક્રમ ચાલુ છે. આ કોલેજમાં અભ્યાસ કર્યાં બાદ એમાં ઘણા લોકો વિદેશમાં પણ ઉચ્ચ હોદાઓ પર આજે પણ પોતાની સેવા આપીને આ કોલેજ તેમજ ગુજરાત રાજ્ય તેમજ દેશને ગૌરવ અપાવી રહ્યા છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી આવીને પણ આ કોલેજમાં અભ્યાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવેલ છે.હાલમાં પણ આ કોલેજમાં જુદા જુદા અભ્યાસક્રમોમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા.

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજનું આ પેલેસ બિલ્ડીંગ એક અભૂતપૂર્વ અને આગવો ઈતિહાસ ધરાવે છે. આ પેલેસ વુડન (લાકડાના) સ્ટ્રક્ચરમાંથી બનેલ છે. જે ભારતમાં એક યુનિક નજરાણું છે.એ જમાનામાં વિદેશથી નિષ્ણાતોને બોલાવી તેઓના માર્ગદર્શન પ્રમાણે બનાવેલ આ મહેલ છે.જેને જાળવવું જરૂરી છે. રા.રા. મહારાજાશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને શિક્ષણ પ્રત્યેની તેઓની ઉચ્ચ ભાવનાનો આ જીવતો જાગતો નમુનો કહેવાય. 1951 થી આ કોલેજમાં અભ્યાસ કરીને ગયેલા દરેક એન્જીનીયરો માટે પોતાની કોલેજનું આ એક અવિસ્મરણીય સભારણું છે.એક યાત્રાધામ જેવું પવિત્ર સરસ્વતી મંદિર સમાન છે.માત્ર મોરબી જ નહી પણ ગુજરાત માટે પણ આ કોલેજ ગૌરવ સમાન છે.

આપણું ગુજરાત દેશના તમામ ક્ષેત્ર આગળ છે. ત્યારે આવા અગત્યના મોન્યુમેન્ટ ની જાળવણી થાય તે અંત્યંત જરૂરી છે.આ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરી ગયેલા દરેક વિદ્યાર્થી સ્વેચ્છિક રીતે જોડાઈ શકે એવું એક ગ્રુપ બનાવેલ છે.જેના દ્રારા આ વિરાસત ટને હેરીટેજ જાહેર કરવા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરેલ છે.જર્જરિત હાલતને લીધે હવે આ કોલેજના જુના ઓરડાઓ માં અભ્યાસનું કામ કરવામાં આવતું નથી.હવેના સમયમાં આવું બિલ્ડીંગ ફરીવાર બનાવવું ખુબજ કઠીન છે.એટેલે આ કોલેજની ઈમારતો હેરીટેજ સાઈટમાં સમાવવામાં આવેલ તેવી સંસ્થાની લાગણી અને માંગણી છે.આ કામો માટે અહીં ભણી ગયેલા ઇજનેરો પોતાનાથી થતો ટેકનીકલ સહયોગ આપવા માટે પણ તૈયાર છે અને તેઓ ગુજરાત સરકારને અપીલ કરે છેકે મોરબીમાં અન્ય ઘણી જગ્યા અને વિરાસતોને હેરીટેઈજ જાહેર કરેલ છે. ત્યારે આ કોલેજોની ઈમારતોને પણ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવે અને ઈમારતોનું તાત્કાલિક વહેલી તકે મરામત કામ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવે. આ ઉપરાંત મોરબીમાં ઘણી અન્ય જુના નજરાણા સમાન વિરાસતો આવેલી છે.જેવી કે મણીમંદિર , જુલતોપુલ, દરબારગઢ તેમજ અન્ય સાઈટો આવેલી છે. તેમાં આનાથી એક સાઈટનો વધારો થશે અને મોરબીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં પણ મદદ મળશે. મોરબી એક સિરામિક નગરીની સાથે પર્યટનનગરી પણ કહેવાશે તેમ સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી.બાવરવાએ જણાવેલ છે.