મોરબી જિલ્લાની સ્વાતંત્ર પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ઉપસ્થિતિમાં યોજાશે

આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-08-2021

આઝાદી કા અમૃત મહોત્સવ થીમ હેઠળ સમગ્ર રાજ્યમાં યોજાનાર સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત મોરબી ખાતે જિલ્લા કક્ષાના ધ્વજ વંદન રાજય કક્ષાના અન્‍ન નાગરિક પુરવઠાના મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે.

મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવની થીમ સાથે જિલ્‍લા કક્ષાના સ્‍વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. આ અંગે મોરબી કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્‍થાને સ્વાતંત્ર પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપી જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અસરકારક આયોજન માટે જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેને સુપેરે નિભાવી ઉજવણીને સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન કોવિડ-૧૯ ની ગાઇડલાઇન સંપૂર્ણપણે પાલન કરવા પણ જણાવ્યું હતું.

સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકોએ આઝાદી કા અમૃત મહોત્‍સવની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના ૬ કલાકે તાલુકા કક્ષાના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ જૂનાગઢ ખાતે યોજાનાર રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તાલુકા કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા અને તાલુકા કક્ષાની આયોજન સમિતિની રચના કરવા સાથે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ દરેક તાલુકા મથકે રમત-ગમત અને સાંસ્કૃત્તિક વિભાગ દ્વારા નિયત થયેલ દેશભકિતની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, નિવાસી અધિક કલેકટર એન.કે મુછાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.