મોરબી બાયપાસ-૨ (રફાળેશ્વર રોડ) પર ૨૭મી ઓગસ્‍ટ સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-08-2021

મોરબી બાયપાસ-૨ (રફાળેશ્‍વર રોડ) પર રસ્‍તો પહોળો કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ રસ્‍તા પર ઉધોગોનો ભારે વાહનોનો ટ્રાફિક પુષ્‍કળ પ્રમાણમાં રહેતો હોય  જેથી રસ્‍તાની કામગીરીમાં અડચણ રૂપ થતો  હોય અને અવાર-નવાર  ટ્રાફિક જામની સમસ્‍યા સર્જાતી હોય છે. આ રસ્‍તા પરથી ટ્રાફિક બંધ કરવામાં આવે તો રસ્‍તાની વાઇડનીંગની કામગીરી ઝડપથી થઇ શકે તેમ હોવાથી તા.૨૭/૦૮/૨૦૨૧ સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ માટેનું જાહેરનામું જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ રસ્તાના વૈકિલ્પક રસ્તા તરીકે રફાળેશ્વર થી મોરબી જવા માટે રફાળેશ્વર-એન.એચ.-૨૭ (બામણબોર-કંડલા રોડ)- રાજકોટ મોરબી રોડ (બાયપાસ-૧) થી મોરબી તેમજ મોરબી થી રફાળેશ્વર જવા માટે મોરબી-રાજકોટ-મોરબી રોડ (બાયપાસ-૧)-એન.એચ.-૨૭ (બામણબોર-કંડલા રોડ) થી રફાળેશ્વર જવાનું રહેશે.  

આ જાહેરનામા મુજબ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઈટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલમાથી મુક્તિ આપવામાં આવે છે, આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.