મોરબીની સિરામિક કારખાનામાંથી માલની ખરીદી કરવામાં આવ્યા બાદ ઘણી વખત છેતરપિંડી કરવામાં આવે છે આવી જ રીતે મોરબીની એક સિરામિક કારખાનામાંથી માલની ખરીદી કરવામાં આવ્યા બાદ વેપારી દ્વારા ચેક આપવામાં આવ્યો હતો જે ચેક બેંકમાથી રિટર્ન થતા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસ ચાલી જતાં નાગપુરના વેપારીને કોર્ટે એક વર્ષની સજા અને 9 ટકા વ્યાજ સાથે બમણી રકમ કારખાનેદારને ચૂકવવા માટે હુકમ કર્યો છે અને ચુકાદા સમયે પણ આરોપી હાજર ન હોય બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે અને જામીન પડનાર પાસેથી રિકવરી કરવાનો આદેશ આપતો ચુકાદો આપ્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2018 માં મોરબીમાં આવેલ સેગમ ટાઇલ્સના ડિરેકટર કમલેશભાઈ રાજકોટિયાએ નાગપુરમાં આવેલ શ્રીરામ ટાઇલ્સના પ્રોપરાઈટર રામપ્રકાશ બારપાત્રએ રૂપિયા પાંચ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ કેસમાં કારખાનેદારના વકીલ તરીકે પી.ડી.માનસેતા રોકાયેલ હતા આ કેસ મોરબીના ચીફ જ્યુડીશયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો અને ત્યારે ફરિયાદી પક્ષના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે નાગપુરના વેપારીને ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવીને રૂપિયા પાંચ લાખના ચેક સામે ડબલ રકમ એટલે કે 10 લાખ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા અને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે અને જો આરોપી નાણાં ન ચૂકવે તો વધુ 90 દિવસની સજાનો આદેશ કર્યો છે અત્રે ઉલેખનીય છે કે, કોર્ટમાં ચુકાદા સમયે પણ આરોપી હાજર ન રહેતા કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે અને જામીન પડનાર વિરુદ્ધ પણ રિકવરી વોરંટ કાઢી રેવન્યુ રાહે બોજા એન્ટ્રી નાખવા આદેશ કર્યો છે તેવું વકીલ પી.ડી.માનસેતાએ જણાવ્યુ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો