કોવિડની આર્થિક અસરઃ એક કરોડ લોકોએ નોકરી ગુમાવી, 97% પરિવારોની આવક ઘટી- CMIE

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

કોવિડ-19 સંક્રમણની બીજી લહેરે દેશવાસીઓને માર્યો આર્થિક ફટકો, બેરોજગારી દરે ચિંતા વધારી

કોવિડ-19 મહામારીની બીજી લહેર (Covid Second Wave)ના કારણે દેશમાં એક કરોડથી વધુ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે ગયા વર્ષે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી 97 ટકા પરિવારોની આવક ઘટી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિ (CMIE)ના મુખ્ય કાર્યપાલક અધિકારી મહેશ વ્યાસ (Mahesh Vyas)એ સોમવારે આ જાણકારી આપી.

મહેશ વ્યાસે પીટીઆઇ-ભાષા સાથેની વાતચીતમાં કહ્યું કે, શોધ સંસ્થાનન આકલન મુજબ બેરોજગારી દર મે મહિનામાં 12 ટકા રહ્યો જે એપ્રિલમાં 8 ટકા હતો. તેનો અર્થ એ છે કે આ દરમિયાન લગભગ એક કરોડ ભારતીયોને નોકરી ગુમાવવી પડી છે. તેઓએ કહ્યું કે રોજગાર ગુમાવવાનું મુખ્ય કારણ કોવિડ-19 સંક્રમણની બીજી લહેર છે. તેઓએ કહ્યું કે, અર્થવ્યવસ્થામાં કામકાજ પૂર્વવત થવાની સાથે કેટલીક હદે સમસ્યાનું સમાધાન થવાની આશા છે. પરંતુ તે સંપૂર્ણપણે તો નહીં થાય.

મહેશ વ્યાસ અનુસાર, જે લોકોની નોકરી ગઈ છે, તેમને નવો રોજગાર શોધવામાં તકલીફ થઈ રહી છે. અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર ખૂબ ઝડપથી ઊભા થાય છે પરંતુ સંગઠિત ક્ષેત્રમાં નોકરીની સારી તકો ઊભી થવામાં સમય લાગે છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે બેરોજગારી દર 23.5 ટકાના રેકોર્ડ સ્તર પર જતો રહ્યો હતો. અનેક વિશેષજ્ઞોના મત છે કે સંક્રમણની બીજી લહેર ચરમ પર પહોંચી ચૂકી છે અને હવે રાજ્ય ધીમે-ધીમે પ્રતિબંધોમાં છુટ આપતાં આર્થિક ગતિવિધિઓની મંજૂરી આપવાનું શરૂ કરશે.

મહેશ વ્યાસે વધુમાં કહ્યું કે, 3-4 ટકા બેરોજગારી દરને ભારતીય અર્થવ્યવસ્થા માટે સામાન્ય માનવો જોઈએ. તે દર્શાવે છે કે સ્થિતિ ઠીક થવામાં સમય લાગી શકે છે. તેમણે જણાવ્યું કે CMIEએ એપ્રિલમાં 1.75 લાખ પરિવારોના દેશવ્યાપી સર્વેનું કામ પૂરું કર્યું. તેના માધ્યમથી એક વર્ષ દરમિયાન આવક ઊભી કરવાને લઈ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે.

વ્યાસના મત મુજબ, સર્વેમાં સામેલ પરિવારોમાંથી માત્ર 3 ટકાએ આવક વધવાની વાત કહી જ્યારે 55 ટકાએ કહ્યું કે તેમની આવક ઓછી થઈ છે. સર્વેમાં 42 ટકાએ કહ્યું કે તેમની આવક ગયા વર્ષ જેટલી જ રહી છે. મહેશ વ્યાસે આ ઉપરાંત કહ્યું કે, જો મોંઘવારી દરને સમાયોજિત કરવામાં આવે તો અનુમાન છે કે દેશમાં 97 ટકા પરિવારની આવક મહામારી દરમિયાન ઓછી થઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો