કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને વળતર મળેઃ SCએ કેન્દ્રને મોકલી નોટિસ

મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજોમાં મૃત્યુના કારણ તરીકે કોરોના વાયરસ નોંધવા નિર્દેશની માંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-05-2021

સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોના વાયરસના સંક્રમણથી મરનારા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ પણ મોકલી હતી. કોર્ટે કોવિડ-19થી મરનારા લોકોના મૃત્યુનું પ્રમાણપત્ર જાહેર કરવાને લઈ સમાન નીતિની માંગ કરતી અરજી મામલે સરકારને શું કોરોનાથી પીડિત લોકો માટે કોઈ એક સમાન પોલિસી છે એવો સવાલ કર્યો હતો.

10 દિવસમાં જવાબની માંગણી: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મુદ્દે નોટિસ મોકલી હતી અને 10 દિવસમાં જવાબની માંગણી કરી હતી. આ જનહિત અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે, કોર્ટ રાજ્ય સરકારોને નિર્દેશ આપે કે મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજોમાં મૃત્યુના કારણ તરીકે કોરોના વાયરસ નોંધવામાં આવે.

સમાન નીતિ અપનાવવા નિર્દેશ: સુનાવણી દરમિયાન કેન્દ્રને કોવિડ-19થી મરનારા લોકોના મૃત્યુના પ્રમાણપત્ર જાહેર કરવા અંગેના આઈસીએમઆરના દિશા-નિર્દેશોની જાણકારી ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

11 જૂનના રોજ આગામી સુનાવણી : પીઠે જણાવ્યું કે, જ્યાં સુધી કોઈ સત્તાવાર દસ્તાવેજ કે મૃત્યુનું પ્રમાણપત્ર જાહેર કરવા એક સમાન નીતિ નહીં હોય જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે મૃત્યુનું કારણ કોવિડ હતું ત્યાં સુધી મૃતકના પરિવારજનો જો કોઈ એવી યોજના હોય તો તે અંતર્ગત વળતરનો દાવો નહીં કરી શકે. પીઠે કેન્દ્રને પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહીને આગામી સુનાવણી માટે 11મી જૂન નિર્ધારિત કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો