રાજકોટમાં આવતીકાલથી મીની લોકડાઉન : 5 મે સુધી બજારો બંધ રાખવા આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-04-2021

અંતે રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણની ચેઇન તોડવા નિર્ણાયક પગલા લેવાયા :આવશ્યક સેવાઓ ઉપરાંત દુધ, શાકભાજી તથા ફળોની દુકાન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે : તમામ કિરાણા સ્ટોરને ખુલ્લા રાખવાની છુટ : રેસ્ટોરાંમાં ફકત ટેક અવે સુવિધાથી જ ગ્રાહકોને સેવા આપી શકાશે : પોસ્ટ અને કુરિયર સેવા યથાવત રહેશે : બેંક સહિતની ખાનગી અને સરકારી કચેરીઓમાં 50 ટકા હાજરી સાથે ખુલ્લા રાખવાની મંજૂરી :માર્કેટ યાર્ડો પણ બંધ રહેશે : ફકત શાકભાજી અને ફળફળાદીની જ વેચાણ કામગીરી થઇ શકશે : મંદિરો સહિતના ધાર્મિક સ્થાનો પણ બંધ : જાહેર ટ્રાન્સપોર્ટમાં 50 ટકાને જ પ્રવાસની છુટ : મેડીકલ તથા પેરામેડીકલ સેવાઓ ચાલુ રહી શકશે : કારખાના ઉત્પાદન એકમો, બાંધકામ એકમોની કામગીરી યથાવત ચાલુ રહેશે : ઉદ્યોગોને કાચો માલ આપતા એકમોને પણ કામકાજની છુટ :રાજયના વધુ 9 શહેરોને નાઇટ કર્ફયુ અને નવા નિયંત્રણ હેઠળ લવાયા : સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, વેરાવળ-સોમનાથ, બોટાદનો સમાવેશ : સતત વધતા જતાં સંક્રમણ બાદ સરકારનો નિર્ણય : મુખ્યમંત્રી વિજય રૂપાણીના અઘ્યક્ષ સ્થાને મળેલી કૌર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ આજે રાજય સરકારે આવતીકાલથી અમલમાં આવે તે રીતે રાજયના વધુ 9 શહેરોમાં નાઇટ કર્ફયુ લાદવા ઉપરાંત મીની લોકડાઉન જેવા અનેક નિયંત્રણો લાદી દીધા છે. જે તા.5મે સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અઘ્યક્ષ સ્થાને આજે મળેલી એક તાકીદની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજયમાં હાલ 8 મહાનગરો તથા 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 સુધી રાત્રી કર્ફયુનો અમલ છે. તે અમલ રાજયના 9 શહેરો સુધી લંબાવાયો છે. જેમાં હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથમાં પણ આવતીકાલથી રાત્રી કર્ફયુનો અમલ શરૂ થઇ જશે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા તમામ 29 શહેરોમાં ફકત આવશ્યક સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. જેમાં અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજી, ફળફળાદીની દુકાનો, મેડીકલ સ્ટોર, મીલપાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહી શકશે. આ તમામ 29 શહેરોમાં ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાના અને બાંધકામ પ્રવૃતિઓ યથાવત રીતે ચાલુ રહેશે. જો કે તેમાં કોરોનાની ગાઇડ લાઇન છે તેનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત મેડીકલ અને પેરામેડીકલ સેવાઓ પણ યથાવત રીતે ચાલુ રહેશે. રાજયના આ તમામ 29 શહેરોમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે અને ફકત ટેક અવે સુવિધા જ આપી શકાશે. આ તમામ શહેરોમાં મોલ, શોપીંગ કોમ્પ્લેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડીટોરીયમ, જીમ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, બાગબગીચાઓ, સલુન તથા સ્પા, બ્યુટીપાર્લર અને અન્ય મનોરંજન પાર્ક સહિતના સ્થળો બંધ રહેશે. જો કે રાજયના તમામ માર્કેટ યાર્ડને પણ સરકારે બંધ કરવાની જાહેરાત કરી છે. ફકત શાકભાજી અને ફળફળાદીના વેચાણ માટે યાર્ડ ચાલુ રખાશે. આ ઉપરાંત રાજયના તમામ ધાર્મિક સ્થળો પર જાહેર જનતાનો પ્રતિબંધીત રહેશે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજા-વિધી કરવા માટે આવી શકશે. રાજયમાં તમામ જાહેર ટ્રાન્સપોર્ટ સેવાઓમાં ફરી એક વખત 50 ટકા ક્ષમતા સાથે જ મુસાફરોના પરિવહનને મંજૂરી આપવામાં આવી છે. રાજયમાં અગાઉ લગ્ન-પ્રસંગમાં 50 લોકોની જ હાજરી તથા અંતિમવિધિમાં 20 લોકોની હાજરીના નિયંત્રણો મૂકાયા હતા તે ચાલુ રહેશે. રાજયમાં જે રીતે કોરોના કેસ વઘ્યા છે તે બાદ સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો