એક જ દિવસે મતગણતરી મુદ્દે હાઇકોર્ટનો ચુકાદો ‘અનામત’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2021

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ પહેલા જાહેર કરવાની તારીખ આપેલી છે, જેની સામે થયેલી અરજી પર સુનાવણી પૂર્ણ ખઈ છે અને હાઈકોર્ટ ચુકાદો અનામત રાખ્યો છે. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિ.પં., તા.પં.ની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખો.

જો નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેના લીધે, મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. જેમાં મતદારોને અસર થવાની સંભાવના છે. જેથી મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકશે નહીં. મતગણતરી એક જ દિવસે રાખવાનો નિર્ણય લેવાની ચૂંટણી પંચ પાસે સત્તા છે.

ચૂંટણીપંચની ‘દલીલ’ શું છે ?: રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે વર્ષ 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં જો એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહું મોટો સ્ટાફ રાખવો પડે, અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. આ ઉપરાંત, સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. જો કે, કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા અંગેના કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી.

થોડા દિવસ પહેલા રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરેલી છે, જેમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને તેની મતગણતરી 23 ફેૂબ્રુઆરીએ હાથ ધરાશે. જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટે 28 ફેબ્રુઆરીએ મતદાન અને બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો