ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારના પ્રથમ ૨૦૦ દિવસની જનસેવા પરિશ્રમ યાત્રા

મૃદુ પણ મક્કમ, નિડર અને પરિશ્રમી મુખ્યમંત્રી તરીકે ઉભરી આવેલા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-03-2022

૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પદભાર સંભાળ્યો તે ક્ષણે ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોને અહેસાસ થયો કે, એક સરળ, સહજ અને સાલસ સ્વભાવના મૃદુ પણ મક્કમ જનનાયક ગુજરાતને મળ્યા છે. પારદર્શિતા અને સંવેદનશીલતા સાથે વિના વિલંબે મક્કમતાથી લોકોને સ્પર્શતા નિર્ણયો લેવાની એમની કુનેહનો આજે સમગ્ર ગુજરાતને પરિચય થઈ રહ્યો છે. માનવ માત્ર પ્રત્યેની તેમની સંવેદનાને સૌ કોઇ બિરદાવી રહ્યું છે. લોકોની વચ્ચે જઈને, લોકોના બનીને તેઓ લોકોના પ્રશ્નો મૃદુતાથી સાંભળે છે અને તેના ત્વરિત નિવારણ માટે મક્કમ નિર્ણયો લે છે. મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના ૨૦૦ દિવસમાં તેમણે સમાજના તમામ વર્ગના અને વય જુથના લોકો અને તમામ વ્યવસાયના લોકોના ઉત્કર્ષ માટે અનેક નવતર પહેલ કરી છે. રાજ્યનાં પ્રત્યેક ખૂણામાં વસતાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો, વંચિતો, વનબંધુઓ, ગ્રામજનોના સમૂચિત વિકાસ માટે જનકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવીને સર્વસમાવેશક ઉત્કર્ષ કર્યો છે. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો સાલસ સ્વભાવ અને કામ કરવાની ધગશને સૌ કોઇ આવકારી રહ્યાં છે.

૨૦૦ દિવસના કાર્યકાળમાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની છબી એક મક્કમ પણ મૃદુ મુખ્યમંત્રી તરીકે ઉભરી આવી છે. સાડા છ કરોડ ગુજરાતીઓને વિકાસયાત્રામાં જોડીને એમણે જનહિતના કાર્યો માટે વ્યાપક જનશક્તિ ઉજાગર કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્ત્વના પ્રથમ ૨૦૦ દિવસના પરિશ્રમ ગાથા જોઇએ તો ૩૦૦થી વધુ સરકારી અને ખાનગી કાર્યક્રમો તથા બેઠકો, ૨૨,૦૦૦થી વધુ લોકો સાથે રૂબરૂ સંપર્ક, ૬૧,૦૦૦ કિલોમીટરનો વ્યાપક પ્રવાસ કરીને એમણે ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટે નિષ્ઠાવાન પૂરૂષાર્થ આદર્યો છે.

સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના અર્થતંત્રમાં અને વિકાસ પ્રક્રિયામાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા મહત્વની છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન નેતૃત્ત્વ હેઠળ ખેડૂત હિતલક્ષી મક્કમ નિર્ણયો લેવામાં આવ્યાં છે. ધરતીપુત્રોની આવકમાં વધારો જોઇ શકાય છે. ખેત ઉત્પાદનમાં વધારો થયો છે. ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકશાનને અટકાવવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની રચના કરવાની મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાતના ડાંગ જિલ્લાને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ખેતરમાં ટ્રાન્સમિશન લાઇન તથા ટાવર ઉભા કરવા માટે ખેડૂતોને અપાતા ૭.૫ ટકાના આર્થિક વળતરને બમણું કરીને ૧૫ ટકા કરવામાં આવ્યું છે. ધરતીપુત્રોને રવિ તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે, સાથે જ પશુપાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવાની નવી યોજના લઇને તેઓ આવ્યા છે.

ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી ઉત્પાદન વધે અને કૃષિ ઇનપુટ ખર્ચ ઘટે, તે માટે નવતર અભિગમ અમલમાં મુકવા આવ્યો છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસનાં સમયે વીજળી આપવામાં આવે છે. પેન્ડીંગ વીજ કનેક્શનો સત્વરે પૂરા પાડવાની દિશામાં મક્કમ નિર્ધાર સાથે રૂ. ૧૦૪૬ કરોડની માતબર રકમ ફાળવી આપવામાં આવી છે. રાજ્યની ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે તેમણે “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’’ શરૂ કરી છે.

વંચિતો, ગરીબો, આદિવાસીઓ હોય કે વિચરતી વિમુક્ત આ તમામની પડખે અડિખમ રીતે ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર ઊભી છે. રાજ્યનાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનું ૬૦ થી ૮૦ વર્ષની વયના લોકોને અપાતું પ્રતિમાસ પેન્શન ૭૫૦ થી વધારીને ૧૦૦૦ અને ૮૦ વર્ષથી વધુના નિરાધારોનું પ્રતિમાસ પેન્શન ૧૦૦૦ થી વધારી ૧૨૫૦ કરવામાં આવ્યું છે. ‘ભિક્ષા નહીં શિક્ષા’ ના મંત્ર સાથે શહેરના સિગ્નલ પાસે ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ‘સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના ૩૬ લાખ પછાત વર્ગના વિદ્યાર્થીઓને અપાતી ગણવેશ સહાય રૂપિયા ૬૦૦ થી વધારીને રૂપિયા ૯૦૦ કરવામાં આવી છે. સમાજનાં સૌહાર્દનું વાતાવરણ રહે તે માટે આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં હાલની એક લાખની સહાયને વધારીને રૂ. ૨.૫૦ લાખ કરવામાં આવી છે.

વન અધિકાર અધિનિયમ અન્વયે ૧૬,૫૭૨ આદિવાસીઓને જમીનના અધિકારો અપાયા છે. આદિજાતિ વિસ્તારોમાં બે વર્ષમાં ૫૦૦ નવા મોબાઇલ ટાવર્સ ઉભા કરી, ઈ-કોમર્સ તથા ઈન્ટરનેટ સંબંધિત કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. વનબંધુઓના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ માટે પૂર્વ પટ્ટીમાં રૂ. 45 કરોડનાં ખર્ચે ૨૫ બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેંસિયલ સ્કુલ ઓફ એક્સલન્સ શરૂ થવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગ નાગરિકોને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. આવકના દાખલાઓની માન્યતાની મુદત એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવાનો જનહિતલક્ષી નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સરકારી કામકાજ માટે કરવાના એફીડીવીટમાંથી મુક્તિ આપીને હવે સેલ્ફ ડેક્લેરેશન (સ્વપ્રમાણપત્ર)ને માન્ય રાખવામાં આવશે.

નારી શક્તિનું સન્માન, મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતી રાજ્ય સરકારે આ વર્ષનાં બજેટમાં મહિલા વિકાસની યોજનાઓ માટે 42 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. તંદુરસ્ત રાજ્ય-રાષ્ટ્રનાં નિર્માણ માટે “એક હજાર દિવસની સંભાળ, સ્વસ્થ રહે માતા અને બાળ” આ મંત્ર સાથે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના શરૂ કરવામાં આવી છે. આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ માટેની ‘પોષણ સુધા યોજના’નો વ્યાપ વધારીને વધુ ૭૨ તાલુકા સુધી લઈ જવામાં આવી છે. રાજ્યની 11 લાખ ગંગાસ્વરૂપા બહેનોને પ્રતિમાસ અપાતી રૂ. ૧૨૫૦ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગ્રામીણ નારીશક્તિને સ્વરોજગારથી આર્થિક આધાર આપવા ગ્રામીણ મહિલાઓ તથા નાના સીમાંત ખેડૂતો લીંબોડી એકત્રીકરણથી આર્થિક આધાર મેળવે છે. GNFCના નીમ પ્રોજેક્ટ અંતર્ગત લીંબોળી એકત્રીકરણ-ખરીદ વ્યવસ્થા-વિવિધ ચીજવસ્તુઓનું નિર્માણ કરીને સ્વ-સહાય જૂથો દ્વારા વેચાણ કરવામાં આવશે.

યુવાનોના કૌશલ્ય નિર્માણ થકી આત્મનિર્ભર દેશના નિર્માણની દિશામાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. નવી શિક્ષણ નીતિના દિશા-દર્શનના રોડમેપ અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા તેમજ ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવતા યુવાનોને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો આપવાનો નિર્ણય લાભ કરાયો, વાર્ષિક ૪.૫૦ લાખ આવક ધરાવતા રાજ્યના અનેક પરિવારના યુવાનોને આ યોજનાનો લાભ મળશે. રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કુલ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો. રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે આગામી ચાર વર્ષનો પરિણામલક્ષી રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે રાજ્યમાં બાયોટેકનોલોજી ક્ષેત્રના વિકાસ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવા નવી બાયોટેકનોલોજી પોલિસી અમલી બનાવી છે. આઈ.ટી. ક્ષેત્રે રોજગારીની નવી તકો સર્જાવા અને મૂડીરોકાણ આકર્ષવા આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. પોલીસી બનાવી છે. વર્ષ 2022થી વર્ષ 2027 માટે નવી રમતગમત નીતિ (Sports Policy) જાહેર કરી છે. યુવાનો રાજ્યના હેરીટેજને જાણે, હેરીટેજનું સંરક્ષણ કરે અને સાથે જ હેરીટેજ ટુરીઝમ દ્વારા રોજગારીનું સર્જન થાય તે માટે હેરીટીજ પોલિસી બનાવવામાં આવી છે.

આઝાદીના 75 વર્ષ – અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ નિવાસી ધોરણે આપવા માટે ૫૦ જ્ઞાન શક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરુ કરી એક લાખ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. પાંચ લાખ યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોરોનાના કપરા કાળને કારણે જે યુવાનોની ઉંમર વધી ગઇ હતી અને સ્પર્ધાત્મક પરિક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠરતા હતા તેમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો યુવાહિતલક્ષી નિર્ણય લઈને સેકડો યુવાનો માટે રોજગારી આપવાના દ્વાર ખોલ્યાં છે.

કોરોના મહામારીનો મક્કમતાથી સામનો કરવામાં ગુજરાતે દેશભરમાં અગ્રણી રહ્યું છે. ગંભીર રીતે બીમાર દર્દીઓને ઝડપથી સારવાર મળે તે માટે એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે અમોઘ શસ્ત્ર સમાન કોરોના વેક્સિનના ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની આગવી સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં (તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૨ની સ્થિતિએ) ૪.૯૧ કરોડથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૪.૭૫ કરોડથી વધુ લોકોને દ્વિતિય ડોઝ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૬૦ વર્ષથી વધુ વયના વડીલો, ફ્રન્ટલાઇન વર્કર્સ તેમજ હેલ્થકેર વર્કર્સને અત્યાર સુધીમાં ૨૨.૬૭ લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. હવે રાજ્યમાં  ૧૨-૧૪ વર્ષની વયના 9 લાખથી વધુ બાળકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપવામા આવ્યો છે. રાજ્યનાં 3 કરોડથી વધુ નાગરિકોને સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા સપ્તાહના દરેક શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રિનીંગથી સારવારનો પ્રારંભ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કરાવ્યો છે. રાજ્યનાં ૪.૩૮ લાખ ઉપરાંત નાગરિકોને ડિઝીટલ હેલ્થ આઇ.ડી. કાર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાતમાંથી અંધત્વને જાકારો આપવાના નિર્ધાર સાથે મોતિયા-અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૫ સુધીમાં ગુજરાતમાં અંધત્વનો દર ઘટાડીને ૦.૨૫ ટકા સુધી લઈ જવાની નેમ છે.

વૈશ્વિક સ્પર્ધામાં દેશને અગ્રિમ હરોળમા લઈ જવામાં ગુજરાતની ભૂમિકા મહત્વની છે. વિકાસની ગતિને જાળવી રાખવા માટે શિક્ષણ મહત્વનું પરીબળ છે. રાજ્યના બાળકને શૈક્ષણિક રીતે ઉત્તમ વાતાવરણ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર સજાગ પ્રયાસો કરી રહી છે. બાળકોમાં સંસ્કાર સિચનને પ્રાધાન્ય આપવા માટે શિક્ષણમાં ભાગવત ગીતાનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના દિશાદર્શનના રોડમેપ અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ થયું. જે અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આ નીતિ અન્વયે આર્થિક સહાય આપે છે.

ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા તેમજ ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવતા યુવાનોને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વાર્ષિક ૪.૫૦ લાખ આવક ધરાવતા રાજ્યના અનેક પરિવારના યુવાનોને આ યોજનાનો લાભ મળશે. રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કુલ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો છે. રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે આગામી ૪ વર્ષનો પરિણામલક્ષી રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.

ગુજરાત આજે નર્મદા યોજના, સૌની યોજના, સુજલામ સુફલામ કેનાલ તથા જળસંચય અભિયાનથી નવપલ્લવિત થઈ રહ્યું છે. નલ સે જલથી નાગરિકોને ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું છે. રાજ્યમા નલ સે જલની ૯૩ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી  સપ્ટેમ્બર -૨૦૨૨ સુધીમાં રાજ્યમાં ૧૦૦ ટકા નલ સે જલ પુરૂ પાડવામાં આવશે. કચ્છની વર્ષો જુની માંગણીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વીકાર કર્યો છે. હવે, કચ્છને નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણી ઉપલબ્ધ બનશે. તેમજ આ કાર્ય માટે રૂ. ૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે ચાલી રહેલા સુજલામ સુફલામ જળ અભિયાનથી રાજ્યમાં ૧૫ હજાર લાખ ઘન ફૂટ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઇ બંધ પરિક્ષેત્રને રૂ. 200 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવાશે. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલમાં સૌમ્ય, સરળ, સાલસ વ્યક્તિત્ત્વ પાછળ દ્રઢ નિર્ણાયકતા અને જનસેવાના મક્કમ મનોબળની સૌ કોઇ ગુજરાતી બાંધવને અનુભુતિ થઇ રહી છે.

જનસેવાની નિષ્ઠાપૂર્વકની પ્રતિબધ્ધતા

  • સુશાસન સપ્તાહ : રૂ. ૯૭૮.૫૮ કરોડના ખર્ચે ૨૦,૧૯૦ કામોના ખાતમુહૂર્ત, રૂ. ૬૬૩.૧૦ કરોડના ૨૨,૪૯૦ કામોના લોકાર્પણ કરવામાં આવ્યાં. જેનો લાભ ૨.૭૦ લાખથી વધુ લોકોને મળ્યો.
  • આત્મનિર્ભર ગ્રામયાત્રા : માત્ર ત્રણ દિવસમાં રૂ. ૧૫૦૦ કરોડના ખર્ચે ગ્રામજનોના સર્વાંગી વિકાસ માટે ૪૩,૦૦૦ જેટલા ગ્રામ વિકાસના કાર્યો કરવામાં આવ્યા.
  • ‘આપણું ગામ, આપણું ગૌરવ’ ગુજરાત પંચાયત મહા સંમેલન : સમગ્ર રાજ્યના પંચાયતના પ્રતિનિધિઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૨૩ સુધીમાં ગામડાઓને સમૃદ્ધ અને સમર્થ બનાવવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
  • સેવાસેતુ કાર્યક્રમ : સાત તબક્કામાં ૨.૪૬ કરોડ કરતા વધુ અરજીઓ પૈકી ૯૯.૮૭ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો.
  • મહેસૂલ મેળા રાજ્યના નાગરિકોને ઘર આંગણે નામ કમી કરવુ, નવું ઉમેરવું, સર્વે, નવી એન્ટ્રી તેમજ રિ-સર્વે જેવા પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા.
  • ગરીબ કલ્યાણ મેળા : આ મેળાની ૧૨મી શૃંખલામાં ૧૭,૩૦,૬૫૩ લાભાર્થીઓને રૂ.૭૬૧૦.૫૮ કરોડની કુલ સહાય સ્થળ પર જ ચૂકવવામાં આવી.


જનહિતલક્ષી નિર્ણયોની ઝલક

  • શ્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. ૨.૪૪ લાખ કરોડનું બજેટ પ્રસ્તુત થયુ.
  • વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં સૂર પુરાવતું રૂ. ૧૭ હજાર કરોડના વધારા સાથે અને કોઇ નવા કરવેરા વિનાનું પૂરાંતવાળું બજેટ.
  • નમો વડ વન : રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે.
  • ગુજરાતનાં તમામ જાહેર સ્થળો ઉપરના લખાણને ફરજિયાત ગુજરાતી ભાષામાં લખવાનો મહત્વપૂર્ણ અને પારદર્શક નિર્ણય.
  • રાજ્યના ૪ હજાર ગામોમાં રૂ.૭૧ કરોડના ખર્ચે મફત વાઇ- ફાઇ સુવિધા પૂરી પાડવામાં આવશે.
  • પ્રજાના પ્રશ્નો સરકારના વિવિધ વિભાગો વચ્ચે અટવાય નહિ તે માટે ઇ-સરકાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
  • ઓપરેશન ગંગા અન્વયે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા. આ વિદ્યાર્થીઓને મુંબઇ અને દિલ્હી હવાઇ મથકેથી ગુજરાતમાં તેમના નિવાસ સ્થાને પહોંચાડવા માટેની સુદૃઢ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા કરવામાં આવી.
  • નાગરિકોને બિનખેતીના હુકમ બાદ પ્રોપર્ટી કાર્ડ ઓટો ઝનરેશનથી આપવાનો સહૃદયી નિર્ણય.
  • લેન્ડ રેવન્યુ કોડની કલમ 73-એની મંજુરીની પ્રક્રિયાઓ ઓનલાઇન કરીને વધુ પારદર્શક બનાવાઇ.
  • ગણોતધારા કલમ એમ-32 અંતર્ગત ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદતમાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.
  • રાજ્યના નવયુવાનોને સુરક્ષા સેવા ક્ષેત્રમાં જોડવા માટેની સુવર્ણ તક ઉભી કરવામાં આવી છે. પોલીસની વિવિધ સંવર્ગોની 1382 જેટલી જગાઓ ઉપર ભરતી કરવા માટે પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતી બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે.
  • લોકરક્ષકના વિવિધ સંવર્ગો માટે 10,459 ની જગાઓ માટે નવયુવાનોની પારદર્શક ભરતી કરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે.
  • રાજ્યના સુરક્ષા કર્મીઓને ટેકનિકલ બાબતોના ઉપયોગથી વધુ સુસજ્જ કરવા માટે ટેકનિકલ ભરતી બોર્ડનું ગઠન કરવામાં આવ્યું.
  • રાજ્યમાં ડ્રગ્સના ગુનાઓ પર કાબુ મેળવવા અને તેના ગુનેગારોને પકડવા રાજ્ય સરકારે કમરકસી છે. જે અંતર્ગત રેપીડ ડ્રગ ટેસ્ટ માટે મોબાઇલ ડ્રગ ટેસ્ટીંગ એનલાઇઝરની ખરીદી કરાશે.
  • લુપ મેડીએટ આઇસોથર્મલ એમ્પ્લીફિકેશન સિસ્ટમના સાધનોની ખરીદી માટે ૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામા આવશે.

દેશભરમાં ગુજરાતે ચાતર્યો નવતર ચીલો

  • ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ધ સ્ટેટ (LEADS) – ૨૦૨૧ માં ગુજરાત પ્રથમ છે.
  • નીતિ આયોગે જાહેર કરેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૧માં ગુજરાત સમગ્ર દેશમાં સતત બીજા વર્ષે ગુજરાત પ્રથમ ક્રમે. દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉચ્ચ ગુણવત્તાની સપ્લાય ચેઇન અને ઓછા ખર્ચે લોજિસ્ટિક્સની પોતાની આગવી ક્ષમતાઓ પુરવાર કરીને આ ગૌરવ સિદ્ધિ મેળવી છે.
  • નીતિ આયોગ દ્વારા જાહેર એક્સપોર્ટ કોમ્પિટેટીવનેસ ઇન્ડેક્સ – ૨૦૨૦ મુજબ નિકાસ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
  • નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત દેશમાં સર્વપ્રથમ છે.
  • ભારત સરકારના ડી.એ.આર.પી.જી દ્વાર જાહેર કરવામાં આવેલા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં સર્વપ્રથમ છે.