મોરબી જિલ્લામાં આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ કાળજી રાખવી

બિયારણની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે નાયબ ખેતી નિયામક (વિ.)ની માર્ગદર્શિકા જાહેર

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બિયારણ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ  ખરીદી કરવાનો આગ્રહ રાખવો.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેનો મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પુરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.

ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક  (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે તેવું મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.જી. પરસાણીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.