48 કલાકમાં નર્મદા કેનાલનું પાણી નહીં મળે તો આંદોલન: કાંતિલાલ અમૃતિયા

કેનાલની સફાઈ નહીં થતા ખેડૂતોને પાણી મળ્યું નથી: માળિયા તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા આપવા પૂર્વ ધારાસભ્ય મેદાને પડયાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-0-2021 નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલમાંથી માળીયા તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા આપવા માટે પાણી આપવામાં આવશે તેવી સરકારે અગાઉ જાહેરાત કરી હતી, પરંતુ કેનાલની સફાઈ ન થઈ હોવાને લઈને તથા અન્ય કારણોસર ખેડૂતોને હજુ સુધી પાણી મળ્યું નથી. જેથી માળીયા તાલુકાના ગામોને સિંચાઈ સુવિધા આપવા માટે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા મેદાને આવ્યા છે. સરકારે અગાઉ જાહેરાત કરી હોવા છતાં સંબધિત તંત્ર અણીના સમયે ખેડૂતોને સિંચાઈની સુવિધા ન આપીને અન્યાય કરતા હોવાના બળાપા સાથે તેઓએ તંત્ર સામે લડાયક મિજાજ અપનાવી 48 કલાકમાં પાણી નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી આપી છે. એક તરફ ખેડૂતોને હજુ સુધી પાણી મળ્યું નથી અને બીજી તરફ આગોતરું વાવેતર સિંચાઈના અભાવે મુરજાઈ રહ્યું છે.આથી ખેડૂતો બેહાલ બની ગયા છે. આવા સંજોગોમાં ખેડૂતોને તાત્કાલિક પાણી નહીં મળે તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ત્યારે ખેડૂતોની વહારે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા આવ્યા છે. આજે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તંત્રને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ખેડૂતોને પાણી નહીં મળે તો તેઓ તંત્રની સામે ઉગ્ર આંદોલન કરશે. કારણ કે મહેનતકશ ખેડૂત માંડ બિયારણ અને ખાતર ભેગું કરે છે. પણ પાણીના અભાવે તંત્રની બેદરકારીને લઈને ખેડૂતોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન જશે, જે અસહ્ય છે. માળિયાની પ્રજાને કાયમી સહન જ કરવું પડે તે અન્યાયકારક છે. જેની સામે તેઓએ અવાજ ઉઠાવ્યો છે. ત્યારે આ મુદ્દે તંત્ર કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો