સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાઇ શકે છે 40-50 કિ.મી.ની ઝડપે પવન, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2022

રાજ્યમાં) થોડા દિવસથી લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે રાજસ્થાન ઉપર સર્જાયેલા લો પ્રેશરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની  આગાહી પ્રમાણે, બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી (rainfall forecast) કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પાંચ દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપી

રાજ્યમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં તેમણે માછીમારોને ચાર દિવસ એટલે કે, 25મી મેથી 29 તારીખ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 29મી તારીખ સુધી સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણને કારણે સૌરાષ્ટ્રના દિરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બંદર જેવા કે, જખો, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખાના માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી છે.

દક્ષિણ ગુજરાતમાં પણ પવન ફૂંકાશે

હવામાન વિભાગના મતે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ 27મી મેથી 29 મે સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે 40થી 50 કિમી પવન ફૂંકાઇ શકે છે.

આ પણ વાંચો: જાણો, શું છે 20-20-20 ફોર્મ્યુલા, જેનાથી આંખ બનશે તેજ અને નંબર ઓછા થશે

વરસાદની આગાહી

આ સાથે હવામાન વિભાગે વરસાદ અંગે પણ આગાહી કરી છે. જેમા જણાવવામાં આવ્યુ છે કે, ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. બે દિવસ દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.

આગામી કેટલાક દિવસ પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજ રહેશે. મોટાભાગે દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી.