IRCTCએ ઓનલાઇન ટિકિટ બુકિંગના બદલ્યા નિયમ, જાણો નવો નિયમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-02-2022

રેલવે મુસાફરો માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો અને ઓનલાઈન ટ્રેન ટિકિટ લો છો તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચજો. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ઓનલાઈન ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. રેલવે મુસાફરોએ હવે મોબાઈલ અને ઈમેલ વેરિફિકેશન કરવું પડશે. ત્યારબાદ જ તમને ટિકિટ મળશે.

રેલવેનો નવો નિયમ

રેલવેએ એવા મુસાફરો માટે નવા નિયમો બનાવ્યા છે જેમણે કોરોના સંક્રમણને કારણે લાંબા સમયથી ટિકિટ બુક કરાવી નથી. એવા લોકોએ IRCTC પોર્ટલ પરથી ટિકિટ ખરીદવા માટે પહેલા તેમના મોબાઈલ નંબર અને ઈમેલને વેરિફાઈ કરવું પડશે. ત્યારબાદ જ તમને ટિકિટ મળશે. જો કે જે મુસાફરોએ નિયમિત ટિકિટ બુક કરાવી છે તેઓએ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં.

જાણો શા માટે બનાવવામાં આવ્યા નિયમો

કોરોનાનો કહેર થોભતા જ ટ્રેનો પાટા પર દોડવા લાગી. આવી સ્થિતિમાં ટિકિટોના વેચાણમાં પણ વધારો થયો છે. IRCTCના દિલ્હી હેડક્વાર્ટરના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેર અને તે પહેલા પોર્ટલ પર જે ખાતાઓ નિષ્ક્રિય હતા તે સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ નંબર અને ઈમેલ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વેરિફિકેશન કેવી રીતે કરવું તે જાણો

જ્યારે તમે IRCTC પોર્ટલમાં લોગ ઇન કરો છો ત્યારે વેરિફિકેશન વિન્ડો ખુલે છે. તેના પર પહેલેથી જ નોંધાયેલ ઈમેલ અને મોબાઈલ નંબર દાખલ કરો. હવે ડાબી બાજુ એડિટિંગ અને જમણી બાજુ વેરિફિકેશનનો વિકલ્પ છે. વેરિફિકેશનનો વિકલ્પ પસંદ કરવા પર, તમારા નંબર પર એક OTP (વન ટાઇમ પાસવર્ડ) પ્રાપ્ત થશે. OTP દાખલ કર્યા પછી તમારો મોબાઈલ નંબર વેરિફાઈ થઈ જશે. એ જ રીતે ઈમેલ માટે પણ વેરિફિકેશન કરવાનું રહેશે. ઈમેલ પર મળેલા OTP દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે.

IRCTC દ્વારા ટિકિટ કેવી રીતે બુક કરવી

IRCTC રેલવેની ટિકિટ ઓનલાઈન બુક કરે છે. આ પોર્ટલ પર ટિકિટ બુક કરવા માટે મુસાફરોએ સૌથી પહેલા આઈડી પાસવર્ડ બનાવવો પડશે. આઈડી જનરેટ કરવા માટે પેસેન્જરે તેના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની વિગતો આપવી પડશે. ઈમેલ અને નંબરનું વેરિફિકેશન કર્યા બાદ જ મુસાફરો તેમની ટિકિટ બુક કરાવી શકે છે.