માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર સમયાંતરે પોતાના પ્લેટફોર્મ પર ફેરફારો કરવા માટે જાણીતું છે. નવા અપડેટ પ્રમાણે હવે નવી ટ્વિટની સાથે વેબ પર ઓટોમેટિક રીતે ટાઈમલાઈન રીફ્રેશ નહીં થાય. તેની જગ્યાએ હવે યૂઝર નક્કી કરી શકશે કે તે ક્યારે નવી ટ્વિટ લોડ કરવા ઈચ્છે છે. ટ્વિટરે સ્વીકાર્યું હતું કે અગાઉની સિસ્ટમમાં ટ્વિટ મોટાભાગે વચ્ચેના ભાગમાંથી ત્યારે ગાયબ થઈ જતી હતી જ્યારે યૂઝરની ટાઈમલાઈન ઓટોમેટિક રિફ્રેશ થતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્વિટરે આ પગલું લેવાનું યોગ્ય માન્યું છે. એટલે હવે પહેલાંની જેમ નવી ટ્વિટ ઓટો અપડેટ નહીં થાય. તેના બદલે યૂઝર્સ પાસે વિકલ્પ રહેશે કે તેઓ ક્યારે તેને લોડ કરવા માંગે છે. એક રિપોર્ટ પ્રમાણે હવે યૂઝર્સ પોતાની ટાઈમલાઈનની ટોચ પર ઉપલબ્ધ ટ્વિટ કાઉન્ટ બાર પર ક્લિક કરીને જ્યારે ઈચ્છે ત્યારે નવી ટ્વિટને લોડ કરી શકશે. સપ્ટેમ્બરમાં કંપનીએ નોંધ્યું કે તે જે રીતે ટ્વિટ શો કરે છે, તેમાં અપડેટ જારી કરશે, જેથી યૂઝર્સ તેમને વાંચી રહ્યાં હોય ત્યારે તે ગાયબ ન થઈ જાય. યૂઝર્સ નવી ટ્વિટ લોડ કરવા માટે નેવિગેશન બાર પર હાઈલાઈટ કરવામાં આવેલા હોમ બટન પર ક્લિક કરી શકે છે.
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-11-2021