CBSE ધો.૧૦ની બોર્ડ પરીક્ષા રદ : ધો.૧૨ની પરીક્ષા જુન સુધી મોકુફ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-04-2021

દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ વણસી જતા અને હવે સરકાર માટે પણ સ્થિતિ કાબુ બહાર જતી હોવાથી કેન્દ્ર સરકારે અંતે મેમાં લેવાનારી ધો.૧૦-૧૨ની સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાઓ અંતર્ગત ધો.૧૦ની પરીક્ષા રદ કરી દીધી છે અને ધો.૧૨ પરીક્ષા જુન સુધી મુલતવી રાખી દીધી છે. કોરોનાના અતિસંક્રમણ વચ્ચે પરીક્ષાઓ હવે ન લેવાનાર હોવાથી વિદ્યાર્થીઓ-વાલીઓને રાહત થઈ છે પરંતુ પરીક્ષાઓ પાછી ઠેલાતા ખાસ કરીને ધો.૧૨ના વિદ્યાર્થીઓ-વાલીઓમાં ચિંતા પણ વધી છે કારણકે ફરી એકવાર પરીક્ષા મોડી થશે અને ક્યારે થશે તે નક્કી નથી જેથી આખુ વર્ષ મહેનત કરતા વિદ્યાર્થીઓને હવે પરીક્ષા અને પરિણામ સાથે ઈજનેરી-મેડિકલ સહિતના પ્રોફેશનલ કોર્સીસના પ્રવેશને લઈને ચિંતા થઈ છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા પણ ઘણી ખતરનાક છે અને સૌથી ખતરનાક અસર મહારાષ્ટ્રમાં છે જ્યાં રોજના ૫૦થી૬૦ હજાર કેસ નોંધાઈ રહ્યા છે. દિવસેને દિવસે કેસ વધી જ રહ્યા છે અને હવે દિલ્હી, ગુજરાત,મધ્ય પ્રદેશ અને  રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.કોરોનાની આ ગંભીર સ્થિતિમાં બોર્ડ પરીક્ષાઓ મોટી ચિંતાનો વિષય બન્યો હતો ત્યારે થોડા દિવસ પહેલા કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ બાબતે ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી તો ગઈકાલે દિલ્હી સરકારે પણ કેન્દ્ર સરકારને બોર્ડ પરીક્ષાઓ મોકુફ કરવા માંગ કરી હતી. કોરોનાની સ્થિતિ દિવસને દિવસે વધુ ખરાબ થવા સાથે આગળ પણ હજુ થોડા દિવસો સુધરે તેમ ન હોઈ અંતે કેન્દ્ર સરકારે આજે સીબીએસઈની બોર્ડ પરીક્ષાઓ બાબતે મોટી જાહેરાત કરતા ધો.૧૦ની પરીક્ષા રદ કરી દીધી છે .જ્યારે ધો.૧૨ની પરીક્ષા જુન સુધી મોકુફ કરી દીધી છે. કોરોનાને પગલે આ વર્ષે  સીબીએસઈની તેમજ અનેક સ્ટેટ બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ એપ્રિલ અંતથી લઈને મે અંત સુધી લેવાઈ રહી છે.

સીબીએસઈ દ્વારા ૪મેથી પરીક્ષાઓ શરૃ થનાર હતી  અને જે જુન મધ્ય સુધી ચાલનાર હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ બાબતે સત્તાવાર જાહેરાત કરવામા આવી હતી અને જણાવવામા આવ્યુ હતુ કે ધો.૧૦ની પરીક્ષાઓ હવે નહી લેવામા આવે. ધો.૧૦ના લગભગ ૨૧ લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ હવે ઓબ્જેક્ટિવ ક્રાઈટેરિયાના આધારે તૈયાર થશે.જે માટે સીબીએસઈ દ્વારા થોડા દિવસમાં અલગથી ક્રાઈટેરિયા અને રીઝલ્ટ પેર્ટન તૈયાર કરી જાહેર કરવામા આવશે. કેન્દ્ર સરકારે આ સાથે એ પણ જાહેરાત કરી છે કે ધો.૧૨ (સાયન્સ,કોમર્સ ,આર્ટસ)ની પરીક્ષા હાલ મુલતવી રાખવામા આવે છે અને જે લેવી કે નહી અને કઈ રીતે લેવી તે બાબતે ૧લી જુને ત્યારની કોરોનાની સ્થિતિને આધારે નિર્ણય કરાશે.જો કે ધો.૧૨ના પરિણામના આધારે ઈજનેરી,મેડિકલ સહિતના પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ થતો હોવાથી પરીક્ષાઓ કેન્સલ થઈ શકે તેમ નથી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો