‘લોકડાઉન’નો વિકલ્પ ખુલ્લો છે; કાલે PM આપશે નિર્દેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-04-2021

કોરોના નામના જીવલેણ અદ્રશ્ય વાયરસે ગયા વર્ષથી ઉપાડો લેવાનુ શરૂ કર્યુ છે તે હજુ શાંત પડયો નથી. ગુજરાત સહિત દેશભરમાં કોરોના નામનો રાક્ષસ તાંડવ મચાવી રહ્યો છે અને રોજેરોજ કેસ અને મોતના આંકડા રેકોર્ડ સર્જી રહ્યા છે ત્યારે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશના પગલે સરકારે ત્વરીત ગઈકાલે રાત્રે જ 20 શહેરોમાં રાત્રીના 8થી સવારના 6 સુધીનો કર્ફયુ અમલી બનાવ્યા બાદ હવે લોકડાઉન ફરી લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. લોકડાઉન કે વીકએન્ડ કર્ફયુ મર્યાદિત રાખવુ કે પછી કે પછી એ પાંચ દિવસનું રાખવુ તે બાબતની સરકારમાં જોરશોરથી સમીક્ષા થઈ રહી છે ત્યારે ગુજરાતની પ્રજામાં પણ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે લોકડાઉન કયારે લાગુ થશે અને તે કેટલુ હશે ? સરકાર લોકડાઉનના જમા અને ઉધાર પાસાની હાલ સમિક્ષા કરી રહી છે અને આવતીકાલે વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ રાજ્ય સરકાર લોકડાઉન અંગે નિર્ણય લ્યે તેવી શકયતા છે.

ગુજરાતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ હોવાનુ માની ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે સરકારને કોરોના વાયરસને કાબુમાં લેવા વિવિધ નિર્દેશો આપ્યા હતા જેને પગલે સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ હતી અને ધડાધડ પગલાઓ જાહેર કર્યા હતા. 20 જેટલા શહેરોમાં નાઈટ કર્ફયુનો અમલ આજથી કરાવવાનુ જાહેર થયુ હતુ એટલુ જ નહિ લગ્નો અને જાહેર સમારોહમાં સંખ્યાઓ નિયંત્રીત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને લોકડાઉનનો અમલ કરવા પણ નિર્દેશ આપ્યો હતો જે પછી સરકાર આ બાબતે વિચાર કરી રહી છે.

લોકડાઉન વિશે અપ્-ડાઉન

લોકડાઉન મામલે સરકારમાં એક મત એવો છે કે લોકડાઉન શનિ-રવિ પુરતુ મર્યાદીત રાખવું. શનિવારે બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓ અને બેન્કો બંધ રહેવાની છે તેથી જો આ બે દિવસ અમલી બનાવાય તો લોકોને હાડમારીનો સામનો કરવો ન પડે. જ્યારે એક મત એવો પણ છે કે લોકડાઉન શનિવારથી શરૂ કરી બુધવાર સુધી એટલે કે પાંચ દિવસ અમલી બનાવવું. આ પાંચ દિવસના તર્ક પાછળ ચાર દિવસની જાહેર રજા આવી જાય છે. શનિવારે 10મી તારીખ છે અને તે બીજો શનિવાર છે. રવિવાર 11 તારીખની રજા છે. સોમવારે 12 તારીખ છે અને કામકાજનો દિવસ છે, જ્યારે 13મીને મંગળવારે ચેટીચાંદની જાહેર રજા છે અને 14મીએ ડો. આંબેડકર જયંતિની જાહેર રજા છે. આમ જો 10થી 14 સુધીનું લોકડાઉન રાખવામાં આવે તો કામકાજનો દિવસ માત્ર સોમવારનો રહે છે બાકીના ચાર દિવસની રજા આવી રહી છે. જો કે આવતીકાલે કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો