GST તંત્ર સ્પષ્ટ આધાર વિના કંપની-દસ્તાવેજો કબ્જે કરી ન શકે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2021

ગુજરાત હાઇકોર્ટે એક કેમિકલ કંપનીના જપ્ત કરાયેલા દસ્તાવેજો પરત કરવા ૠજઝ (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વિભાગને આદેશ કર્યો છે કે અરજદાર કંપનીના જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો તેમને પરત કરવામાં આવે અથવા તે પરત થઇ શકે તેમ ન હોય તો કોઇ સ્પષ્ટ અને સત્તાવાર કારણ અરજદારને આપવામાં આવે.

અરજદાર કંપની દ્વારા પિટિશનમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ડાઇંગ અને કેમિકલના ઉત્પાદન અને વેચાણ સાથે જોડાયેલા છે. તેમનું એક એકમ રાજસ્થાનના જોધપુર અને બીજુ સુરતમાં આવેલું છે.

ફેબ્રુઆરી-2020માં બન્ને જગ્યાઓ પર GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન સ્ટોક રજિસ્ટર, સેલ એન્ડ પર્ચેઝ ઇનવોઇસ, બિલ, એકાઉન્ટ બુક અને લેજર એકાઉન્ટ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કંપનીના ડિરેક્ટરોને પૂછપરછ માટે સમન્સ પણ પાઠવવામાં આવ્યા હતા.

કંપનીના મહત્વના દસ્તાવેજો જપ્ત થયાને દસ મહિનાથી પણ વધુ સમય વીતી ચૂક્યો હોવાથી તેને પરત કરવા સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ દસ્તાવેજો કે તેની નકલ ન આપવામાં આવતા અરજદાર કંપનીની વર્તમાન કામગીરી પર વિપરિત અસર પડી રહી છે. હાઇકોર્ટે બન્ને પક્ષોની રજૂઆત સાંભળી જી.એસ.ટી. વિભાગને આ દસ્તાવેજો પરત કરવાનો આદેશ કર્યો છે અને જો દસ્તાવેજો પરત ન થઇ શકે તેમ હોય તો સ્પષ્ટ કારણ આપવા આદેશ કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો