રૂપાલા તો બચી ગયા ભાજપને ટેન્શન : ક્ષત્રિયોના ડરથી આ 2 નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામા

ગુજરાતમાં લોકસભાની દરેક સીટો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ રાજકોટમાં શરૂ થયેલો રૂપાલાનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પણ પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યો છે. જ્યારે ચૂંટણીમાં નુકસાન ન જાય તે માટે ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે.

ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી હાલ સૌથી કોઈ વધુ ચર્ચામાં હોય તો એ રાજકોટ લોકસભા બેઠક છે. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ હજુ પણ યથાવત્ છે. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધ માટે કાર્યક્રમોની રૂપરેખા ઘડી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ પોતાના ક્ષત્રિય નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરીને આ વિવાદને ટાઢો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે જુઓ આ રિપોર્ટ..

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે. રામજી મંદિર ખાતે 100 જેટલી ક્ષત્રિયાણીઓએ 3 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.. ક્ષત્રિયાણીઓની એક જ માગ છે કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ ભોગે રદ કરવામાં આવે. ક્ષત્રિય આંદોલન સમિતિ દ્વારા આંદોલનના પાર્ટ 2ની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલનને ક્ષત્રિય આગેવાનો દ્વારા ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે.

જે અંતર્ગત ક્ષત્રિય મહિલાઓએ સોમવારથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.સાથે સાથે રાજકોટમાં 6 ક્ષત્રિયોના કાર્યાલય પણ ખુલ્લા મુકાયા. સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોના કાર્યાલય ખુલ્લા મુકવામાં આવશે. 24 તારીખથી ધાર્મિક સ્થળોએથી ધર્મરથ કાઢવામાં આવશે. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવશે. તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. એટલે કે, ક્ષત્રિયો ભાજપનો વિરોધ કરીને મતદારોને ભાજપના ઉમેદવારને મત ન આપવાની અપીલ કરશે..

એક તરફ ક્ષત્રિયોની રણનીતિ છે તો બીજી તરફ ભાજપનું ડેમેજ કન્ટ્રોલ છે. ક્ષત્રિયોના વિરોધને શાંત કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકર સૌરાષ્ટ્રમાં ધામા નાખીને બેઠા છે.  રવિવારે મોડી સાંજે બંને નેતાઓએ રાજકોટની ખાનગી હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી જ્યારે સોમવારે ભાવનગરમાં ખાનગી હોટલમાં બેઠક કરી . આ બેઠકમાં જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી.

એક તરફ ભાજપ પરશોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવા માટે મક્કમ છે તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનો આંદોલનથી રૂપાલાને હરાવવા માટે મક્કમ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રાજકોટમાં ફૂલ ફોર્મમાં પ્રચાર કરી રહ્યા છે.  રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પરેશ ધાનાણીએ પદયાત્રા કરીને પોતાના માટે મત માગ્યા. રાજકોટ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમ છે.. એવામાં જોવું એ રહ્યું કે, ક્ષત્રિયોના આંદોલનની અસર પરશોત્તમ રૂપાલાને કેટલી નડશે.