અમિત શાહનું મોટું એલાન, 1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર બોર્ડરે વાડ બનાવાશે, 3 રાજ્યોને લાભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીમા સુરક્ષાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકારે ભારત-મ્યાનમાર સરહદ પર વાડ કરવાનો નિર્ણય લીધો છે અને સરહદોને અભેદ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. શાહે મંગળવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકારે 1,643 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમારની સમગ્ર સરહદને વાડ કરવાનો નિર્ણય લીધો છે. સરહદ પર વધુ સારી દેખરેખની સુવિધા માટે સરહદ પર પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે.

અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં 1-1 કિમીના અંતરે ફેન્સિંગ

અમિત શાહે કહ્યું કે સરહદની કુલ લંબાઈમાંથી મણિપુરના મોરેહમાં 10 કિ.મી.ના પટ્ટા પર ફેન્સિંગ કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ (એચએસએસ) દ્વારા ફેન્સિંગના 2 પાયલોટ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં 1-1 કિમીના અંતરે ફેન્સિંગ બનાવવામાં આવશે. આ ઉપરાંત મણિપુરમાં લગભગ 20 કિમી સુધી ફેન્સિંગના કામને પણ મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે.

ઉપદ્રવી 3 મોટા વિસ્તારો નિયંત્રણ હેઠળ

સરકાર તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે પરંતુ ભારતની સરહદ અને તેના લોકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં કરે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં 10 વર્ષના શાસનમાં આંતરિક સુરક્ષાના ત્રણ મુખ્ય ક્ષેત્રો પર નિયંત્રણ મેળવી લીધું છે.

મિઝોરમમાં લઈ રહ્યાં છે ગેરકાયદેસર આશ્રય

છેલ્લા ત્રણ મહિનામાં મ્યાનમાર આર્મીના લગભગ 600 સૈનિકો ભારતમાં પ્રવેશ્યા છે. પશ્ચિમી મ્યાનમાર રાજ્ય રખાઇનમાં એક વંશીય સશસ્ત્ર જૂથ – અરાકાન આર્મી (એએ) આતંકવાદીઓ દ્વારા તેમના શિબિરો કબજે કરવામાં આવ્યા બાદ તેઓએ મિઝોરમના લાંગટલાઇ જિલ્લામાં આશ્રય લીધો હતો. સરહદ પર વાડ બનાવીને ભારત બંને દેશો વચ્ચે ફ્રી મૂવમેન્ટ રિજિમ (એફએમઆર) રદ કરશે. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને બીજા દેશમાં પ્રવેશવા માટે ટૂંક સમયમાં વિઝાની જરૂર પડશે.

મ્યાનમારની ભારતના કયા રાજ્યો સાથે કેટલી બોર્ડર

મ્યાનમાર સાથે મણિપુરની 390 કિમીની બોર્ડર લાગે છે પરંતુ ફક્ત 10 કિમીમાં જ વાડ થઈ છે. રાજ્ય સરકારે કહ્યું છે કે અત્યાર સુધી 700 લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં ઘુસી આવ્યાં છે. અરુણાચલ મ્યાનમાર સાથે 520 કિમી અને નાગાલેન્ડ 215 કિમીની બોર્ડર ધરાવે છે.