ધોળા-વીરા પણ જાહેર થશે વર્લ્ડ હૅરિટેજ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-07-2021

ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં દર વર્ષની જેમ વિશ્વ વિરાસત સ્થળોની યાદી જાહેર કરાઈ છે, જેમાં ભારતને ફરી સફળતા મળી છે. તેલંગાણાના રામપ્પા મંદિરે દેશની 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. એને પગલે હવે ધોળાવીરાની પણ ઘોષણા આજે અથવા મંગળવારે થઈ શકે છે.

યુનેસ્કોએ શનિવારથી વિવિધ દેશોના વિશ્વ વિરાસત સ્થળનાં નામો જાહેર કરવાની શરૂઆત કરી હતી, જેમાં રામપ્પા મંદિરની ઘોષણા રવિવારે કરી હતી. એની સાથે પ્રધાનમંત્રીએ પણ દેશને આ અંગે જાણકારી આપી ખુશી વ્યક્ત કરી હતી. યુનેસ્કોએ જાહેર કર્યું છે કે 28મી જુલાઇ સુધી વિવિધ સાઇટ અંગે ચર્ચા ચાલુ રહશે, એટલે કે ધોળાવીરાની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે. નોંધનીય છે કે રામપ્પા મંદિરનું નામ સરકારે વર્ષ 2020 માટે મોકલ્યું હતું. 2021માં સરકારે ધોળાવીરાનું નામ મોકલ્યું હતું. ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરવા યુનેસ્કો દ્વારા વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડા ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે સિંધુ સભ્યતાના સૌથી મોટાં નગરોમાં સામેલ થતા ધોળાવીરા અનેક રીતે ખાસ છે. લગભગ ત્રણ દાયકા પહેલાં થયેલા ઉત્ખનનકાર્ય બાદ ધોળાવીરાનાં અનેક રહસ્યો બહાર આવવા લાગ્યાં હતાં. ડો. આર.એન. બિસ્ટ દ્વારા 1991 અને 1992માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયું હતું. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલવામાં આવ્યું હતું, જેના

ભાગરૂપે ચારેક માસ પહેલાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ધોળાવીરાની મુલાકાત કરી હતી, જેમાં ધોળાવીરાની આસપાસ ભૂસ્તરીય મહત્ત્વનાં સ્થળો કેવી રીતે વિકસાવી શકાય અને એનું મહત્ત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે એ વિશે કહેવામાં આવ્યું હતું.

વિકાસનાં હવે દ્વાર ખૂલશે

ધોળાવીરા હવે જ્યારે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થવા જઇ રહ્યું છે ત્યારે એને સૌથી નજીકથી જાણનારા અને વિશ્વને આ પુરાતત્ત્વીય શહેરથી રૂબરૂ કરાવનારા પદ્મશ્રી પુરાતત્ત્વવિદ આર.એન. બિસ્ટ આ જાહેરાતથી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને નેવુંના દાયકામાં તેણે પોતે કેવી રીતે ધોળાવીરાના એક પછી એક રહસ્યને ઉજાગર કર્યાં એની વિસ્તૃત માહિતી આપી હતી. ધોળાવીરા અન્ય હડપ્પીય શહેરથી અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. વિશ્વ વિરાસત સ્થળ બનતાં કચ્છ તેમજ ખડિર વૈશ્વિક નકશા પર આવી જશે અને પ્રવાસનની નવી જ તકો અહીં ઊભી થશે.

ધોળાવીરા અનેક આયોજનબદ્ધ શહેર હતું. અહીં પાણી સંગ્રહ, પૂરથી બચવાનાં કાર્યો, સ્ટેડિયમ સહિતનાં સ્થળો માત્ર ધોળાવીરામાં છે. અન્ય કોઇ હડપ્પન શહેરમાં આવી યોજના નથી. ખાસ કરીને ધોળાવીરામાં 10 અક્ષર ધરાવતું સાઇન બોર્ડ મળી આવ્યું છે. આ લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે, જેના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે. નગરને ખાલી કરતી વખતે લોકોએ પ્રવેશદ્વાર પરથી આ સાઇનબોર્ડ એક રૂમમાં રાખી દીધું હતું, જેથી એ સુરક્ષિત મળી શક્યું છે. ધોળાવીરા પ્રારંભ, મધ્યમ અને એના અંતના સમયનું સંપૂર્ણ બાંધકામ મળી શક્યું છે.