(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-4, કોરોના વાયરસના કારણે સરકાર સામે ધર્મસંકટ ઊભું થયું છે. ઈકોનોમી બચાવવા માટે લોકડાઉન ઉઠાવી લેવામાં આવે તો વાયરસ ફેલાય તેનું જોખમ રહેલું છે. જયારે લોકડાઉન લંબાવવામાં આવે તો ઈકોનોમીને એટલું મોટું નુકસાન થશે કે જીવન જીવવા લાયક રહેશે નહીં. કોરોના વાયરસને લઈને બેનેટ યુનિવર્સિટીની ગ્લોબલ ઓન-લાઈન કોન્ફરન્સ ‘કોવિડ-૧૯: ફોલઆઉટ એન્ડ ફ્યુચર’માં જાણીતા પેનલિસ્ટોએ પોતાનો મત રજૂ કર્યો હતો. જાણીતા લેખક ગુરચરણ દાસે તો મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું આ સ્થિતિને સરકારના આ ધર્મસંકટ અંગે જણાવ્યું હતું. ભારતે કોરોના વાયરસને રોકવા માટે દુનિયામાં સૌથી કડક લોકડાઉન લાગૂ કર્યું છે. જો તમે બીમારીથી ૧૦૦ લોકોનું જીવન બચાવો છો પરંતુ બેરોજગારીના કારણે ૨૦૦ લોકોના મોત થઈ જાય છે તો બંને વિકલ્પમાંથી તમે એવો વિકલ્પ પસંદ કરશો જેમાં ઓછા લોકોનો જીવ જાય. આ એક ધર્મસંકટ છે. બંને તરફ તમારું નુકસાન છે. સરકાર આ સમયે કયા ધર્મ સંકટમાંથી પસાર થઈ રહી છે તે સમજાવતા દાસે કહ્યું છે કે આ લોકડાઉન દરમિયાન બિહારના એક ગરીબ પ્રવાસી મજૂરે કહ્યું હતું કે જો હું કોરોનાથી બચી જઈશ તો મને ભૂખ મારી દેશે. કોને જીવતા રહેવા દેવા જોઈએ અને કોને મરવા દેવા જોઈએ, મોદી સરકાર આ જ સવાલનો સામનો કરી રહી છે. ગુરચરણ દાસે ચેતવણી આપી છે કે વધુ વખત લોકડાઉન લંબાવવામાં આવશે તો કારમી મંદી આવશે અને અંદાજીત ૨૫ કરોડ રોજિંદા મજૂરો ભૂખથી મરવા લાગશે. આ પ્રકારની મહામારી ભારતને દાયકાઓ પાછળ લઈ જશે. દાસે આગળ કહ્યું હતું કે સરકારે આંશિક કે વૈકલ્પિક લોકડાઉન અપનાવવું જોઈએ. આપણે એટલા ઓછા લોકોનો ટેસ્ટ કર્યો છે કે આપણને ખબર જ નથી કે હકિકતમાં સ્થિતિ કેટલી ખરાબ છે. જોકે, મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ થાય તો બે જ સપ્તાહમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. પરંતુ વર્તમાન આંકડા મુજબ આપણે આંશિક લોકડાઉન પર દાવ રમી શકીએ છીએ. ઈકોનોમીનો ૫૦-૫૫ ટકા હિસ્સો બરબાદ થઈ ગયોઃ ભૂતપૂર્વ નાણા સચિવ ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું છે કે ઈકોનોમીનો ૧/૬ ટકા ડિજિટલ ભાગ છે જે હજી કામ કરી રહ્યો છે. પરંતુ ઈકોનોમીનો ૫૦-૫૫ ટકા ભાગ બરબાદ થઈ ગયો છે. તેનાથી મારું અનુમાન છે કે એક મહિનાના સમયમાં જીડીપીને અંદાજીત ૬ ટકાનું નુકસાન થશે. આવા કપરા સમયે જ એક આદર્શ રાજનેતાની કસોટી થાય છે. જોવું રહ્યું મોદી સરકાર કયો વિકલ્પ પસંદ કરશે?