મોરબીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના મોટા પુત્ર ડો. પ્રશાંત મેરજાનું 23 વર્ષની યુવાન વયે કાર અકસ્માતમાં નિધન થતાં છેલ્લા 17 વર્ષથી તેમની સ્મૃતિમાં મોરબીમાં જુદા- જુદા સ્થળોએ ગરીબ દર્દીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજીને દર્દીઓને નારાયણ સમજીને સેવા કાર્ય થતું રહે છે

આવો જ એક મેડિકલ નિદાન કેમ્પ કંડલા બાયપાસ રોડ પર આવેલ ક્રિષ્ના હોલમાં યોજાયેલ હતો .જેમાં નકલંક મંદિરના મહંત દામજી ભગતે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરો એવા ડો. ભાવિન ગામી, ડો. અક્ષય જાકાસણીયા, ડો. યોગેશ પેથાપરા, ડો. કિશન બોપલિયા, ડો. કલ્પેશ રંગપરિયા, ડો. નિસર્ગ પડસુંબિયા, ડો. પુલકિત પ્રકાશભાઈ એ સેવા આપી હતી.

જેનો સાચા અર્થમાં જરૂરિયાતમંદ એવા 400 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

જોગાનુજોગ બ્રિજેશ મેરજાના માતૃ વજીબેન તેમજ પૌત્ર પ્રશાંત બંનેના દેહ અવસાન હનુમાન જયંતિના દિવસે થયેલા એટલે હનુમાન જયંતીની તિથીએ આ સેવા કાર્ય મેરજા પરિવાર દ્વારા પ્રતિવર્ષ યોજાતું હોય છે.

આ મેડિકલ કેમ્પમાં મોરબીના વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. ડો. પ્રશાંતની સ્મૃતિમાં શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી મણિલાલ સરડવાએ 49 મી વખત રક્તદાન કર્યું હતું.






























