મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ માટે મોટો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ નગરપાલિકાઓ સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી સહાયમાં મોટો વધારો કર્યો છે.
નગર સેવાસદનમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવો જનસુખાકારીનો અભિગમ મુખ્યમંત્રીએ આ નિર્ણયમાં રાખ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અપાતી આ સહાયની રકમ વધારો કરવાના નિર્ણય સાથોસાથ એવો પણ નિર્ણય કર્યો છે કે,
નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો સહિતના લોકો માટે લિફ્ટની સુવિધા તથા ઊર્જા આત્મનિર્ભરતા અને વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપવા નવા નગર સેવાસદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઊભી કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા નિર્ણય અનુસાર રાજ્યની ‘અ’ વર્ગ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી રૂ. 2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે.