સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર ચરમ તીર્થકર પૂજ્યશ્રી મહાવીર સ્વામી પરમાત્માનો 2623 મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાશે અને પરમ ઉપકારી પરમાત્માની શોભાયાત્રા આગામી તા 10 ને ગુરુવારે સવારે 8 કલાકે દરબારગઢ જૈન દેરાસરથી નીકળશે.

ત્યાર બાદ ગ્રીનચોક, નગર દરવાજા, જુના બસ સ્ટેન્ડ, સાવસર પ્લોટ અને રામચોક સહિતના વિસ્તારમાં ફરીને રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાં ધર્મસભા યોજાશે.

આ તકે વાગડ ગચ્છનાયક આચાર્યશ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મ.સા. સમુદાયના પૂજ્ય આ.ભ.શ્રી આત્મદર્શન સુરીશ્વરજી મ.સા. માનવથી મહા માનવની સફર વિષયે મંગલ પ્રવર્ચન આપશે આ પ્રસંગે ગોંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર.પ.પુ. નરેન્દ્રમુની મહારાજ સાહેબના સુશિષ્યા પ.પુ. જયશ્રીબાઈ સ્વામી આદિઠાણા-6, તથા અજરામર સંપ્રદાયના પ.પુ. નંદીનીકુમારી મ.સા. આદિઠાણા-2 તથા પ.પુ. શીલદર્શનાશ્રીજી મ.સા. આદીઠાણા 4 સાહેબની ઉપસ્થિતિ રહેશે

મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં કળશધારી બાળાઓ દ્વારા સામૈયા તથા શ્રી ધર્મનાથ જૈન બેન્ડ ગ્રુપ, ભવ્ય આકર્ષણરૂપ પ્રભુનો રથ, પ્રભુ મહાવીર સ્વામીના સ્વપ્ન, ચાંદીનું પારણું, પ્રભુજીનો વિશાળ ફોટો શોભાયાત્રામાં પ્રદર્શિત થશે શોભાયાત્રા દરમીયાન પ્રભુજી સમક્ષ નૃત્યકાર દ્વારા નૃત્ય રજુ થશે વ્યાખ્યાન પૂર્ણ થયે ગુરુદેવજીએ સંકલન કરેલ પુસ્તકનું વિમોચન થશે મોરબી સમસ્ત જૈન સમાજ, પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને સંયુક્ત રીતે ઉજવણી કરી રહ્યું છે ત્યારે સમસ્ત જૈન સમાજ આયોજિત તમામ કાર્યક્રમોમાં હાજર રહીને પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને ઉજવવા તથા શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરવા જૈન સમાજની વિવિધ સંસ્થાઓએ નિમંત્રણ પાઠવ્યું છે.































