મોરબી સિરામિક એસો.ના જુદા જુદા ડિવિઝન પૈકી ત્રણ ડિવિઝનના વર્તમાન પ્રમુખોની માર્ચ મહિનામાં મુદત પૂરી થાય છે જેથી નવા પ્રમુખની વરણી કરવા માટે થઈને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જુદાજુદા ત્રણેય ડિવિઝન માટે કુલ મળીને 7 આગેવાનો દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે.

ન માત્ર મોરબી પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું સૌથી મોટું એસો. એટલે કે મોરબી સિરામિક એસો.ના વર્તમાન પ્રમુખો પૈકી જુદા જુદા ત્રણ ડિવિઝનના પ્રમુખોની મુદત માર્ચ મહિનામાં પૂર્ણ થઈ રહી છે ત્યારે આગામી સમય માટે નવા પ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તેના માટે થઈને પ્રમુખ બનવા કેટલાક આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળી રહે છે.

હાલમાં સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી સિરામિક એસો.માં કુલ ચાર ડિવિઝન છે જેમાં વિટ્રીફાઇડ એસો., ફલોર ટાઇલ્સ એસો., વોલ ટાઇલ્સ એસો. અને સેનેટરીવેર એસો.નો સમાવેશ થાય છે અને વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાની હજુ એક વર્ષ સુધી મુદત ચાલુ છે જોકે અન્ય ત્રણ પ્રમુખોની આ માર્ચ મહિનામાં મુદત પૂરી થઈ રહી છે.

ત્યારે નવા પ્રમુખની વરણી કરવા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને હાલમાં મોરબી વિટ્રીફાઈડ એસો. માટે અનિલભાઈ વડાવીયા, સુરેશભાઈ સરડવા અને મનોજભાઈ એરવાડીયા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવેલ છે ..

જ્યારે ફ્લોર ટાઇલ્સ એસો.માં હિતેશભાઈ પેથાપરા અને સંદીપભાઈ કુંડારીયાએ ઉમેદવારી પત્ર ભરેલ છે તો સેનેટરીવેર એસો.માં પ્રમુખ પદ માટે ચિરાગભાઈ કડીવાર અને ચેતનભાઇ પટેલ દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોવાનો જાણવા મળેલ છે અને આગામી 23મી માર્ચ સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટેનો સમય આપવામાં આવ્યો છે અને જો ઉમેદવારી પત્ર પાછા ન ખેંચાય તો ચૂંટણી યોજવામાં આવશે અને ત્યારબાદ મોરબી સિરામિક એસો.ના જુદા જુદા ત્રણ ડિવિઝનના પ્રમુખો જાહેર થશે




















