કર્મનિષ્ઠ કર્મચારી, પ્રામાણિક વેપારી, સામાજીક સંસ્થાઓ, સમાજ સેવકના એવોર્ડ આપી સન્માનિત કરાશે
છેલ્લા 28 વર્ષથી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા વિશ્ર્વ ગ્રાહક સપ્તાહ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આગામી તા.21 માર્ચ ના રોજ મોરબીની દશાશ્રી માળીની વાડીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નીમીતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અધિકારી વર્ગ ઉપસ્થીત રહી ગ્રાહકોને માર્ગદર્શન આપશે અને ગ્રાહકોના પ્રશ્ર્નોનું નીરાકરણ લાવવાનો પ્રયત્નો કરશે. આ સેમીનારમાં કર્મનીષ્ઠ કર્મચારી, પ્રમાણીક વેપારી, સામાજીક સંસ્થાઓ તથા સમાજ સેવકના એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવશે.

આ સેમીનારના ઉદ્ઘાટક તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, પુર્વ સાંસદ રામાબેન માવાણી અને મુખ્ય મહેમાન તરીકે ડે. કલેકટર સુશીલ પરમાર, પુરવઠા અધિકારી જેમીન કાકડીયા, મામલતદાર એન.પી. ધનવાણી, મામલતદાર બી.એસ.પટેલ, રામજીભાઇ માવાણી, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને હરેશભાઇ બોપલીયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મોરબી બીલ્ડર એસો. ના પ્રમુખ સંતોષભાઇ શેરશીયા, ઘનશ્યામભાઇ દવે, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના મહાનુભાવો હાજર રહેશે. તેવુ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાની યાદીમાં જણાવાયેલ છે.























