Tuesday, March 18, 2025
HomeFeatureમોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ

        મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ગત તારીખ ૧૨/૦૨/૨૦૨૫ થી તારીખ ૧૮/૦૨/૨૦૨૫ સુધી મ્યુનિસિપિલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન અનુસાર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર પ્રિવેંશન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

         તે પૈકી ૮ હોસ્પિટલમાં ૪૫ હોસ્પિટલ સ્ટાફને અને સ્કૂલો પૈકી ૦૨ સ્કુલમાં ૨૫૦ વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર પ્રિવેન્શન તાલીમના ભાગરૂપે ૨૬ હોસ્પિટલોમાં ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર એન.ઓ.સી. ન ધરાવતી ૦૩ હોસ્પિટલને નોટીસ આપવામાં આવી હતી.

         આ પૂર્વેના સપ્તાહમાં ૪૦ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી ૦૭ હોસ્પિટલને બીજી વખત નોટીસ આપવામાં આવી હતી. તેમજ હોસ્પિટલ સ્ટાફને ફાયર પ્રિવેન્શનને લગતા જરૂરી સૂચનો અને ગાઈડલાઈન અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

      તેમજ સતવારા એસ્ટેટમાં આવેલ પરમ વુડ પ્રોડક્ટમાં ગત તારીખ ૧૧/૦૧/૨૦૨૫ ના રોજ આગ લાગી હતી. તેમાં જરૂરી ફાયર સેફટી સર્ટીફીકેટ ન હોવાથી ગત તારીખ ૧૩/૦૨/૨૦૨૫ ના રોજ આ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું.

           આ પ્રકારની ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય એ છે કે મોરબી મહાનગરપાલિકામાં આવેલ હોસ્પિટલ અને શાળાઓમાં ફાયર સેફટી અંગે નાગરિકો માહિતગાર થાય, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકાય, કોઈપણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના, કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય, જાન-માલને બચાવી શકાય તે રહેલો છે.

           આવી કોઈ દુર્ઘટના બને ત્યારે મોરબી વાસીઓ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ નંબર- ૦૨૮૨૨-૨૩૦૦૫૦ પર સંપર્ક કરી શકે છે. તેમ ડેપ્યુટી કમિશનર, મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!