ક્ષત્રિય સમાજની શાન તલવારને ગણાવીએ તો તેમાં જરા પણ અતિશ્યોક્તિ નથી અને તલવાર લઈને દીકરીઓ જ્યારે રાસ રજૂ કરતી હોય તો ચાચર ચોકમાં સાક્ષાત માઁ ભવાની રાસ રમતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે અને આવો જ ઘાટ મોરબી ન્યુ પેલેસના પતંગમાં જોવા મળ્યો હતો કેમ કે, મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું સમાજની બહેન દીકરીઓ માટે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીના ન્યૂ પેલેસ ખાતે ત્રિ દિવાસીય આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોરબી રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા પરંપરાગત વસ્ત્રો સાથે રાસ ગરબા અને તલવાર રજૂ કરવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન દીકરીઓ અને બહેનો દ્વારા ગરબી અને ગરબામાં રાસ ગરબા રજૂ કરવામાં આવતા હોય છે જોકે મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત સમાજની બહેન દીકરીઓ માટે જે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રિ મહોત્સવના મુખ્ય સ્પોન્સર સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર જયદિપ એન્ડ કંપની- વવાણીયા (મોરબી) છે અને કો-સ્પોન્સર ડી.એસ. ઝાલા દેવ સોલ્ટ પ્રા.લી. માળિયા (મિયાણા) હતા. અને મોરબી રાજવી પરિવારની સહમતિથી મોરબીના ન્યુ પેલેસના પટાંગણમાં ભવ્ય રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.

તેમાં ક્ષત્રિય સમાજની 60 થી વધુ દીકરીઓ દ્વારા દસ દિવસની પ્રેક્ટિસ કરીને તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, કલેકટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ. ઝાલા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ તલવાર રાસને સહુ કોઈએ બિરદાવ્યો હતો

મોરબી રાજપૂત સમાજના બહેનો અને દીકરીઓ માટે તા 5 થી 7 સુધી ત્રણ દિવસ નવરાત્રિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને ત્રણેય દિવસ સમાજની બહેન દીકરીઓને જુદીજુદી કેટેગરીમાં ઈનામો આપવામાં આવ્યા હતા અને ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજના બહેન દીકરીઓ અર્વાચીન રસોત્સવ કે અન્ય કોઈ જગ્યાએ રાસ ગરબામાં જતા ન હોય તેઓની માટે મોરબી રાજપૂત સમાજ દ્વારા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ઘુમર રાસ, તલવાર રાસ સહિતના રાજપુત સમાજને શોભે તેવા રાસ બહેન દિકરીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા અને ત્યારે મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ક્ષત્રિય સમાજના બહેન દીકરીઓ ત્યાં રાસ રમવા માટે થઈને આવ્યા હતા અને દીકરીઓ દ્વારા રજુ કરવામાં આવેલ રાસની સહુ કોઈએ પ્રશંસા કરી હતી.









