કર્ણાટકના રાયચુર જિલ્લામાં એક ‘ચમત્કાર’ થયો છે. એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી છે. ભગવાન વિષ્ણુની આ પ્રતિમા લગભગ એક હજાર વર્ષ જૂની હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે આ પ્રતિમા રામલલાની નવનિર્મિત પ્રતિમા જેવી જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પુરાતત્વવિદોના મતે આ પ્રતિમા 11મી કે 12મી સદીની હોઈ શકે છે.

ભગવાન વિષ્ણુની આ મૂર્તિની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે. ભગવાન વિષ્ણુની આ મૂર્તિનો દેખાવ અને સ્વરૂપ અયોધ્યામાં રામ લાલાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિ જેવું જ છે. ભગવાન વિષ્ણુની આ પ્રતિમાના પ્રભામંડળની આસપાસ ’દશાવતાર’ કોતરવામાં આવેલ છે. પ્રતિમાને મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિથી શણગારવામાં આવી છે. ભગવાન વિષ્ણુની મૂર્તિને ચાર હાથ છે,

જેમાંથી બે ઉભા હાથ શંખ અને ચક્રથી સજ્જ છે. બે હાથ સીધા નીચેની તરફ આશીર્વાદની મુદ્રામાં છે. તેમાંથી એક છે ‘કટી હસ્ત’ અને બીજું છે ‘વરદ હસ્ત’. નિષ્ણાંતો માને છે કે, આ પ્રતિમા મંદિરના ગર્ભગૃહનો ભાગ હોઈ શકે છે. મંદિરને તોડફોડથી બચાવવા માટે તેને નદીમાં ફેંકવામાં આવ્યું હશે. આ પ્રતિમાને થોડું નુકસાન થયું છે. મૂર્તિના નાકને થોડું નુકસાન થયું છે.







































































