મોરબીને મહાનગર બનાવવા તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઈ

અભિપ્રાય માટે 10 ગામના સરપંચોની કલેકટર સાથે બેઠક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-05-2023

સૌરાષ્ટ્રની સૌથી મોટી એ ગ્રેડ ધરાવતી મોરબી નગરપાલિકા સ્ટાફની અછત, ટાંચા સાધનો સામે સતત વધી રહેલી શહેરી વસ્તી વચ્ચે લાંબા સમયથી મોરબીને મહાનગર પાલિકાના દરજ્જો મળે તે માટે માંગ થઇ રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોરબી સહીત રાજ્યની 22 નગરપાલિકાઓને મહાનગરનો દરજ્જો આપવા પુખ્ત વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોના હવાલાથી જાણવા મળી રહ્યું છે. તેમજ મોરબીને મહાનગર પાલિકા બનાવવા માટે આજુબાજુના 10 ગામોના સરપંચને મોરબી કલેકટર કચેરીમાં અભિપ્રાય માટે બોલાવવામાં આવ્યા છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં બીજા નંબર ઉપર સિરામિક ક્લસ્ટર તરીકે જાણીતો છે. મોરબી શહેરમાં સરકારની ઉદાસીનતા ને કારણે શહેરીજનોને પુરતી સુવિધાઓ મળિ રહીં નથી.મોરબી નગરપાલિકામાં સફાઈ વ્યવસ્થાથી લઈ અન્ય વિભાગોમાં પણ પૂરતો સ્ટાફ ન હોવાથી નગર શહેર મટીને ગામડા જેવી સ્થિતિમાં આવી ગયું છે, આવી જ સ્થિતિ અન્ય મોટી નગરપાલિકાઓની પણ છે. આ સંજોગોમાં મોરબીના વિકાસને પુરપાટ ઝડપે આગળ ધપાવવા મહાનગર પાલિકા જ ઉકેલ હોવાનું રાજકીય આગેવાનો પણ માની રહ્યા છે. જ્યારે વિકાસની હરણફાળ ભરી રહેલ મોરબી શહેરની આજુબાજુમાં આવેલ શનાળા, ત્રાજપર, વાવડી, લીલાપર, ધુનડા, જાંબુડિયા, રવાપર, રફાળેશ્વર, ઘુંટુ, રાજપર,મહેન્દ્રનગર સહિતના ગામોને જો મોરબીમાં સમાવિષ્ટ કરવામાં આવે તો મોરબી શહેર મહાનગર બનવાને લાયક થતું હોય ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત તમામ ગામોને તા.30મી મેના રોજ મોરબી કલેકટર કચેરી ખાતે અભિપ્રાય માટે બોલાવવામાં આવ્યા હોવાનું સરપંચો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો