નવરાત્રીના બાકીના નોરતામાં પણ વરસાદ રમઝટ બોલાવશે? હવામાન વિભાગે કરી આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-09-2022

કોરોનાના બે વર્ષ બાદ માંડ આ વર્ષની નવરાત્રી બધા જ ખેલૈયાઓ માટે ખાસ છે. બે વર્ષથી ખેલૈયાઓ ગરબે ગુમવાની રાહ જોઇને બેઠા હતા ત્યારે ખેલૈયાઓ માટે વરસાદ વિધ્ન બનતુ હોય તેવુ દેખાઇ રહ્યું છે. નવરાત્રિના પ્રથમ નોરતે જ મેઘરાજાની પધરામણી થઇ હતી ત્યારે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઇને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં વરસાદ રહેશે. જે દરમિયાન સામાન્ય અને છુટોછવાયો વરસાદ રહેશે. જોકે ભારે વરસાદની કોઈ આગાહી નથી. ત્યાં જ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ છે. જો કે, ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. પરંતૂ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

કચ્છની વાત કરીએ તો,કચ્છથી ચોમાસાની વિદાય શરૂ થઇ ગઇ છે. જોકે સંપૂર્ણ વિદાયમાં સમય લાગશે. સિસ્ટમ બનતી હોવાથી હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરનું તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની આશંકા છે. અમદાવાદમા ક્યાંક છુટોછવાયો વરસાદ રહી શકે છે, સિઝનનો અત્યાર સુધીમાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આમ આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે છે.