શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના વરદ હસ્તે ગત રવિવારે માળીયા તાલુકાના ઘાંટીલા ગામના પંચાયત ઘરનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
પંચાયત કચેરીના ખાતમૂહુર્ત પ્રસંગે યોજાયેલ જાહેર સભાને સંબોધન કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય બન્યા બાદ મોરબી-માળીયા વિસ્તાર માટે રૂપિયા ૬૫૦ કરોડના કામો તેમજ મંત્રી બન્યા બાદ ૧૦૫૦ કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરાવ્યા છે. આગામી સમયમાં પણ વધુને વધુ માળીયા-મોરબી વિસ્તારના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો માટે ક્યાંય કચાસ નહીં રખાય તેવી ખાતરી પણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આપી હતી.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર હોય કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વડપણ હેઠળની કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ થકી વિકાસના અનેક કામો થઇ રહ્યા છે. અનેક પ્રકારની યોજનાઓ અંગે માહિતી આપી સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. આ તકે માળીયા તાલુકાના નવ નિયુક્ત સરપંચ ઓનું મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સી.ડી.પી. યોજના હેઠળ રૂ. ૧૩.૫ લાખ રૂપિયાના ખર્ચે પંચાયત કચેરીનું મકાન આશરે ૧૦૦ ચો.મી. વિસ્તારનું બાંધકામ કરવામાં આવશે. જેમાં સરપંચ અને તલાટી માટે અલગ રૂમ, સ્ટોર રૂમ, જનરલ હોલ, જરૂરી ફર્નીચર તેમજ શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા, કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઇ પડસુંબીયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, એપીએમસીના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, બાંધકામ શાખાના ઇજનેર એ.એન. ચૌધરી, માળીયા મામલતદાર ડી.સી. પરમાર, અગ્રણી સર્વે જીજ્ઞેશભાઈ કૈલા, કિશોરભાઇ ચીખલીયા, રમેશભાઇ રાઠોડ, બાબુભાઇ, સવજીભાઇ, નિર્મળસિંહ, મણીલાલભાઇ, સુભાષભાઇ, અરજણભાઇ, પ્રવિણભાઇ, અમુભાઇ વીડજા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.