ફાયર NOC મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી આપ્યો મોટો આદેશ, AMC એ કાર્યવાહી હાથ ધરતા 15 શાળાની ઓફિસ સીલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2022

રાજ્યમાં આગના જે ભૂતકાળમાં બનાવ બન્યા છે તેને લઇ ગુજરાત હાઇકોર્ટ એક બાદ એક સુનાવણીમાં આદેશ આપી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ફાયર સેફટીની અમલવારી ન કરાવનારી 15 શાળાઓને સીલ મારી છે. જ્યાં સુધી ફાયર સેફટીની અમલવારી ન કરાવવામાં આવે ત્યાં સુધી શાળાઓની ઓફિસ સીલ રાખવામાં આવશે. હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ જતા તેમનો અભ્યાસ ન બગડે તે માટે સંપૂર્ણ શાળા સીલ કરવાને બદલે માત્ર ઓફિસ સિલ કરવામાં આવી છે. જો કે ફાયર વિભાગના આવા એક્શનને કારણે કેટલીક શાળાઓએ હવે ફાયર સેફ્ટીની અમલવારી કરવાનું શરૂ કરી દીધુ છે.

ફાયર એનઓસી સરકારે સ્વીકાર્યું આ સત્ય

અત્રે જણાવવાનું કે ફાયર એનઓસી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ખુબ જ મહત્વનો આદેશ જાહેર કર્યો છે. અત્રે જણાવવાનું કે હાઈકોર્ટમાં દાખલ થયેલી પીટીશન પર હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે ગુજરાતમાં 229 શાળાઓ અને 71 હોસ્પિટલો પાસે ફાયર NOC નથી.

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ

ફાયર NOC મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ફાયર NOC વગરની હોસ્પિટલમાં માત્ર OPD ચાલશે. ફાયર NOC વગરની હોસ્પિટલોમાં ઓપરેશન નહીં થઈ શકે. સરકારે પોતે જ સ્વીકાર્યું છે કે 71 હોસ્પિટલ અને 229 સ્કૂલો પાસે ફાયર NOC નથી. ત્યારે કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યમાં ફાયર સેફ્ટીની યોગ્ય અમલવારી નહીં. ફાયર NOC વગરની શાળા પ્રત્યક્ષ રીતે ન ચાલી શકે.

હાઈકોર્ટે એવો પણ પ્રશ્ન કર્યો હતો કે જો શાળાઓમાં આગ લાગે તો નિર્દોષ બાળકોનો શું વાંક? ફાયર એનઓસી વગરની શાળાઓમાં ઓફલાઈન વર્ગ ન ચલાવી શકાય એવું હાઈકોર્ટે અવલોન કર્યું. ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું કે હોસ્પિટલમાં ઓપરેશન અને ઈન્ડોર પેશન્ટ સરકાર બંધ કરાવે અને હાલ પુરતુ ઓપીડી જ ચાલુ રહે. તેમજ આવી હોસ્પિટલો સામે કાર્યવાહી પણ જરૂરી છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં ફાયર સેફ્ટી વગરના અનેક એકમો છે જેના કારણે ઘણીવાર મોટી દુર્ઘટના સર્જાઈ ચૂકી છે.