આ વર્ષે EPF પર કેટલું વ્યાજ ચુકવાશે? 8.5 કરતા ઊંચું વ્યાજ મળવાનો ચાન્સ છે?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2022

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પર કેટલું વ્યાજ આપવું તે વિશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા આગામી મહિને નિર્ણય લેવામાં આવશે. હાલમાં કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) પર વાર્ષિક 8.5 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજદરમાં વધારો થાય છે કે ઘટાડો તેના પર તમામ કર્મચારીઓની નજર છે. 2021-22ના પીએફ માટે વ્યાજદરનો નિર્ણય લેવા માટે માર્ચ મહિનામાં ગુવાહાટી ખાતે બેઠક મળવાની છે. કેન્દ્રિય શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે EPFના વ્યાજદર વિશે આ માહિતી આપી હતી. EPFO 2021-22 માટે 8.5 ટકા વ્યાજદર જાળવી રાખશે કે નહીં તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે નાણાકીય વર્ષ માટે આવકના અંદાજને ધ્યાનમાં રાખીને વ્યાજદર વિશે નિર્ણય લેવામાં આવશે.

2020-21 માટે EPF ડિપોઝિટ માટે વ્યાજનો દર 8.5 રાખવામાં આવ્યો હતો અને તે વિશે માર્ચ 2021માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને નાણા મંત્રાલય દ્વારા ઓક્ટોબર 2021માં માન્યતા અપાઈ હતી. ત્યાર પછી ઇપીએફઓએ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપી હતી કે 8.5 ટકાના દરે વ્યાજની આવક સબસ્ક્રાઈબરના એકાઉન્ટમાં જમા કરવામાં આવે.

CBT EPF ડિપોઝિટ માટે વ્યાજના દર નક્કી કરે ત્યાર પછી તે નાણા મંત્રાલયને મોકલવામાં આવે છે. માર્ચ 2020માં EPFOએ વર્ષ 2019-20 માટે વ્યાજનો દર ઘટાડીને 8.5 ટકા કર્યો હતો જે છેલ્લા સાત વર્ષમાં સૌથી નીચો હતો. અગાઉ 2018-19માં સબસ્ક્રાઈબર્સને 8.65 ટકા વ્યાજ ચુકવાયું હતું.

તેનાથી અગાઉના વર્ષોની વાત કરીએ તો 2012-13માં પણ EPF પર વ્યાજનો દર 8.5 ટકા હતો. ઇપીએફઓએ 2016-17માં 8.65 ટકા વ્યાજદરની જાહેરાત કરી હતી. 217-18માં વ્ચાજનો દર 8.55 ટકા હતો. જ્યારે 2015-16માં પ્રોવિડન્ટ ફંડ પર 8.8 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું. 2013-14માં પણ તેમણે 8.75 ટકા વ્યાજ આપ્યું હતું. 2011-12માં પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજનો દર 8.25 ટકા હતો.

કેન્દ્ર સરકારે તાજેતરમાં પેન્શનને લગતો એક મહત્ત્વનો નિર્ણય પણ લીધો છે. વર્કિંગ ક્લાસની ઘણા સમયથી માંગણી હતી કે પેન્શન સ્કીમ 1995 હેઠળ કામદારોના લઘુતમ પેન્શનમાં વધારો થવો જોઈએ. આ કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ દરમિયાન ઇપીએફઓ એક નવી પેન્શન પ્લાન રજુ કરવા વિચારે છે જે ફિક્સ્ડ પેન્શનમાં વધારો કરશે.