ભરતનગરના ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપ લીકેજ બાબતના પ્રશ્ન તાત્કાલીક ઉકેલવાની તાકીદ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2022

રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ભરતનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ વેળાએ અહીંના સ્થાનિક ખેડૂતોએ ખેતરમાં ગુજરાત વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની પાણીની પાઇપ લીકેજ થવાના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં ઊભા પાકને નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી. આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ આવે તે માટે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ગુજરાત વોટર સપ્લાય ઇન્ડ. લી. તેમજ વહિવટી તંત્રના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ખેતરમાં પાણીની પાઇપ લાઇન લીકેજ બાબતના પ્રશ્નનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.

મોરબી તાલુકાના ભરતનગર ગામના ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપલાઇન તુટી ગયેલ હોવાથી પાક નુકસાની બાબતે સ્થાનિક આગેવાન નવીનભાઇ ફેફર, વિઠ્ઠલભાઇ પાંચોટીયા અને તાલુકા પંચાયતના સદસ્ય હર્ષદભાઇ સહિતના ખેડૂત આગેવાનોની કમિટિ બનાવવા અને ખેડૂતોને થયેલ નુકસાન અને વળતર અંગેનો રિપોર્ટ અધિકારીઓને સુપરત કરવા પણ મંત્રીશ્રીએ સુચના આપી હતી.

આ ઉપરાંત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ભરતનગર અને લક્ષ્મીનગરના મહેસુલી દફતર અલગ કરવા, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની કાયમી નિમણૂક કરવા, નેશનલ હાઇવેની ડ્રેનેજની ચોકઅપ બાબતના પ્રશ્ન અને સાદુળકા ગામના ૬૬ કે.વી. વીજ સ્ટેશન ઝડપથી ચાલુ થાય તે બાબતે સંબંધિત અધિકારીઓને સ્થળ પર સુચના આપી કામગીરી વેગવંતી બનાવવા તાકીદ કરી હતી.

આ તકે તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટક, મામલતદારશ્રી જી.એચ. રૂપાપરા સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા, કારોબારી ચેરમેન હિરાભાઇ ટમારીયા, અગ્રણી અરવિંદભાઇ વાંસદડીયા સહિત પંચાયતના સદસ્યો અને ખેડૂત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.