વિજય રુપાણીએ સીએમ પદેથી અચાનક રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ભૂકંપ

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા જ રુપાણીની એક્ઝિટથી અનેક તર્કવિતર્ક, નવા સીએમ કોણ હશે તેને લઈને અનેક અટકળો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-09-2021

તાજેતરમાં જ સીએમ પદે પાંચ વર્ષ પૂરા કરનારા સીએમ વિજય રુપાણીએ આજે રાજીનામું આપી દીધું છે. આજે સીએમ સહિતના સિનિયર નેતાઓ તેમજ કેન્દ્રિય મંત્રીઓ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા રુપાણીએ જણાવ્યું હતું કે, તેઓ ભારતીય જનતા પાર્ટીનો પોતાને સીએમની જવાબદારી સોંપવા બદલ આભાર વ્યક્ત કરે છે. હજુ ગત મહિને જ રુપાણી સરકારે પોતાની સત્તાના પાંચ વર્ષ પૂરા થવાની મોટાપાયે ઉજવણી કરી હતી, અને રાજ્યભરમાં નવ દિવસ સુધી અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. તેવામાં અચાનક જ રુપાણીએ રાજીનામું ધરી દેતા રાજ્યના રાજકારણમાં સોંપો પડી ગયો છે.

રુપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રા નવા નેતૃત્વ હેઠળ આગળ ધપે તેવી ઈચ્છા સાથે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, પક્ષ દ્વારા તેમને જે પણ જવાબદારી આપવામાં આવશે તેને તેઓ ખુશી સાથે નીભાવશે. ગુજરાતની જનતાનો આભાર માનતા રુપાણીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની જનતાનો અદ્ભૂત વિશ્વાસ અને સમર્થન પ્રાપ્ત થયા છે, અને જનતાએ જ પોતાને સતત કામ કરતા રહેવાની ઊર્જા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પક્ષની પરંપરા છે કે દરેક કાર્યકર્તાને અલગ-અલગ સમયે અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવે છે.

રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ રુપાણીએ રાજીનામું આપ્યું છે ત્યારે ચૂંટણીનો ચહેરો કોણ હશે તે સવાલ પણ ઉભો થયો છે. આ અંગે વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી નરેન્દ્ર મોદીના નામ પર જ લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે પક્ષ સામે તેમને કોઈ મતભેદ નથી, અને ભાજપમાં સંગઠન જ સર્વસ્વ છે. રાજ્યમાં બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક રાજીનામું આપવાનું કારણ પૂછવામાં આવતા રુપાણીએ ફરી કહ્યું હતું કે, ભાજપમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે.

ઉલ્લેખનીય છે કે, આજે સીએમ રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા તેમજ ભાજપના ટોચના નેતાઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ આજે અચાનક રાજ્યપાલના બંગલે પહોંચ્યા હતા. આ સમાચાર વહેતા થતાં જ રાજ્યના રાજકારણમાં નવાજૂની થઈ રહી છે તેવા સમાચાર વહેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે, 09 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની મુલાકાત લીધી હતી.

2016માં આ જ રીતે અચાનક થયો હતો તખ્તા પલટ

રાજ્યમાં 2016માં આનંદીબેન પટેલ સીએમ હતા ત્યારે થયેલા ઉનાકાંડ તેમજ પાટીદાર આંદોલનને કારણે તેમની ખુરશી ખતરામાં આવી ગઈ હતી. તે સમયે ડેમેજ કંટ્રોલના ભાગરુપે ભાજપે આનંદીબેનને માત્ર સવા બે વર્ષના શાસન બાદ સીએમ પદેથી હટાવ્યા હતા. તે વખતે નીતિન પટેલ સીએમ બનશે તેવી જોરદાર અટકળો હતી, પરંતુ છેલ્લી ઘડીએ વિજય રુપાણીનું નામ જાહેર કરવામાં આવતા ઘણા લોકોને નવાઈ લાગી હતી. ત્યારબાદ 2017ની ચૂંટણી રુપાણીના નેતૃત્વમાં જ લડાઈ હતી. જોકે, પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન રુપાણી ખુરશી છોડે છે તેવા સમાચાર અનેકવાર વહેતા થયા હતા, પરંતુ આવું કંઈ બન્યું નહોતું. હાલ જ્યારે રાજ્યમાં ચૂંટણી નજીક છે, અને રાજકીય રીતે પણ રુપાણી સામે એવો કોઈ મોટો પડકાર ના હોવા છતાંય તેમનું અચાનક રાજીનામું પડતાં રાજકીય પંડિતો પણ ચોંકી ગયા છે.