પડી ભાંગેલા અર્થતંત્રને ટેકો આપવા કેન્દ્રએ જાહેર કર્યું રાહત પેકેજ

દેશમાં આરોગ્ય સુવિધા, ટુરિઝમ, ખેતી અને રોજગાર યોજનાઓ સહિત કોરોના પ્રભાવિત ક્ષેત્રો માટે સરકારે આઠ નવી યોજનાઓનું એલાન કર્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

વૈશ્વિક કોરોના મહામારી (Corona Pandemic)ને લીધે પડી ભાંગેલી ભારતની આર્થિક વ્યવસ્થા (Economy)ને ટેકો આપવા કેન્દ્ર સરકારે (Central Govt) અન્ય એક રાહત પેકેજ (Relief Package)ની જાહેરાત કરી છે. સોમવારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અર્થતંત્રને લઇને મહત્વના એલાન કર્યા હતા. આ પૈકી કોરોનાની ઘાતક બીજી લહેરથી થયેલા નુકસાન અને સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આરોગ્ય વ્યવસ્થાને લઇને પણ ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ કરેલા રાહત પેકેજના એલાન મુજબ, કોરોના મહામારીને લીધે નુકસાન વેઠી રહેલા દેશના તમામ ક્ષેત્રોને ઉભરવામાં મદદ મળે એ માટે 1.1 લાખ કરોડ રુપિયા ફંડ ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ ફાળવ્યા છે. આઠ મહાનગરોને છોડી અન્ય શહેરોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકારે 50,000 કરોડ રુપિયાનું પેકેજ જાહેર કર્યું છે. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર ઓછા વ્યાજે લોન આપશે. આ યોજના હેઠળ વધુમાં વધુ 100 કરોડ રુપિયા સુધીની લોન પર મળશે.

નોંધનીય છે કે, ગત વર્ષે પણ કોરોના કાળ દરમિયાન કેન્દ્રએ ક્રેડિટ ગેરંટી યોજનાનું એલાન કર્યું હતું. આ વર્ષે ઇસીએલજીએસ સ્કીમ હેઠળ 1.5 લાખ કરોડ રુપિયા લોનની જોગવાઇ કરી છે. ક્રેડિટ ગેરંટી સ્કીમ દ્વારા 25 લાખ નાના ઉદ્યોગોને ફાયદો મળશે. જેમાં વ્યાજની ટકાવારી MCLR પ્લસ 2 ટકા રહેશે. આ માટેનો મહત્તમ સમયગાળો 3 વર્ષનો રહેશે અને આ યોજનાનો લાભ 31 માર્ચ 2022 સુધી મેળવી શકાશે.

કેન્દ્રએ કોરોના કાળમાં પ્રભાવિત થયેલા પર્યટન ઉદ્યોગ માટે પણ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા ટૂરિસ્ટ ગાઇડ સહિત અન્ય લોકોને મદદ મળશે. કેન્દ્રના પર્યટન ઉદ્યોગ માટે જાહેરર કરેલા રાહત પેકેજનો લાભ 10,700 ટૂરિસ્ટ ગાઇડને મળશે એવો અંદાજ છે. આ યોજના હેઠળ ટૂરિસ્ટ ગાઇડને એક લાખ રુપિયા સુધીની આર્થિક મદદ કરવામાં આવશે જ્યારે ટૂરિસ્ટ એજન્સીને 10 લાખ રુપિયા સુધીની મદદ કરવામાં આવશે.

પર્યટન ઉદ્યોગ માટે કેન્દ્રએ જાહેર કરેલા રાહત પેકેજ મુજબ, ભારતમાં આવનારા પહેલા 5 લાખ ટૂરિસ્ટને Visa ફીથી રાહત આપવામાં આવી છે. 2019માં ભારતમાં 1.93 લાખ પર્યટકો આવ્યા હતા. આવા ટૂરિસ્ટ સરેરાંશ 21 દિવસ દેશમાં રોકાય છે અને દૈનિક સ્તરે સરેરાશ 2400 રુપિયા ખર્ચ કરે છે. આ યોજના પર કુલ 100 કરોડ રુપિયા ખર્ચ થશે. જેની સમય મર્યાદા 31 માર્ચ સુધીની છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો