મોરબીના સર્વાંગી વિકાસ માટે રૂ. ૭૬૭.૩૦ લાખના ૩૫૦ જેટલા વિકાસના કામો મંજૂર

ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં લેવાયો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

મોરબી જિલ્‍લાના પ્રભારીમંત્રી અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આજે સોમવારે જિલ્‍લા કલેકટર કચેરી ખાતે આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્‍લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્‍દ્રિત જિલ્‍લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇઓ તથા અન્‍ય વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માટે રજૂ કરવામાં આવેલ ૭૬૭.૩૦ લાખના ૩૫૦ જેટલા વિકાસના કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જીસ્‍વાન મારફત ગાંધીનગરથી વીડિયો કોન્‍ફરસીંગના માધ્‍યમથી જોડાયેલા અધ્‍યક્ષ સૌરભભાઇ પટેલે મોરબી જિલ્‍લાના સર્વાંગી વિકાસ માટે પીવાના પાણી, ભૂર્ગભગટર, વિજળી, નાલાના કામોને ક્રમસહ અગ્રતા મુજબ હાથ પર લઇ ઝડપથી કામો પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતુ. તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ના કામો જલદી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્‍લા આયોજન અધિકારી જીગ્નેશભાઇ બગીયાએ ૨૦૨૧-૨૨ના વર્ષની વિકેન્‍દ્રિત જિલ્‍લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓનું આયોજન આ બેઠકમાં રજૂ કર્યુ હતું.

આ બેઠકમાં પ્રભારીમંત્રી સૌરભભાઇ પટેલની સાથે ગાંધીનગરથી મોરબીના ધારાસભ્‍ય બ્રિજેશભાઇ મેરજા, કલેકટર જે.બી.પટેલ, મોરબી કલેકટર કચેરી ખાતે ટંકારા-પડધરી ધારાસભ્‍ય લલીતભાઇ કગથરા, વાંકાનેર ધારાસભ્‍ય મહમદજાવિદ પીરઝાદા, જિલ્‍લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ આર.કે. ચાવડા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, સામાજીક ન્‍યાય સમિતિના ચેરમેન હંસાબેન પારધી, નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી તેમજ મોરબીના તાલુકા મથકેથી તાલુકા અમલીકરણ અધિકારીઓ વીડિયો કોન્‍ફરસીંગના માધ્‍યમથી બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા હતા

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો