તૌકતે અને કોરોનાનો માર ઝીલ્યા બાદ ફરી એકવાર દીવ થઇ ગયું ટુરિસ્ટો માટે તૈયાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-06-2021

કોરોનામાં ઘરે રહીને કંટાળી ગયા હોય અને હાલના સમયમાં કોરોના જ્યારે નિરાંત જપી રહ્યો છે ત્યારે નાનકડું વેકેશન માણવાનો વિચાર હોય તેવા ગુજ્જુઓ માટે એક ખુશ સમાચાર છે. ગરમીથી ત્રાસી ગયેલા ગુજ્જુઓને રાહત મળે તેવા અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ દીવ એડમિનિસ્ટ્રેશન આગામી થોડા દિવસોમાં દીવના તમામ પર્યટન સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવાનો વિચાર કરી રહ્યું છે. મહત્વનું છે કે કોરોના અને ત્યારબાદ તૌકતેએ સર્જેલી તારાજી બાદ દીવ ફરી એકવાર પ્રવાસીઓને આકર્ષવા તૈયાર થઈ ગયું છે.

બે સપ્તાહ પહેલા જ દીવમાં વીકેન્ડ કર્ફ્યૂને હટાવામાં આવ્યો છે. તેમજ એક મહિના પહેલા તૌકતેની તારાજીમાંથી બેઠા થયા પછી દીવના દરિયા કિનારા પ્રવાસીઓની રાહ જોઈ રહ્યા છે. મહત્વનું છે કે પ્રવાસીઓને રોકવા માટે કોરનાની બીજી લહેર દરમિયાન દીવમાં વીકેન્ડ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. તેવામાં જ્યારે બે સપ્તાહ પહેલા વીકેન્ડ કર્ફ્યૂ હટાવાયો કે તરત જ ગત સપ્તાહમાં દીવની ઘણી ખરી હોટેલો પ્રવાસીઓથી ઉભરાઈ પડી હતી.

દીવ હોટેલ્સ એસોસિએશનના પ્રમુખ યતિન ફર્ગોએ આ મામલે જણાવ્યું કે ‘વીકેન્ડ કર્ફ્યૂ હટાવાયા પછી અમારી આશાથી વિરુદ્ધ પ્રવાસન ઉદ્યોગ એકદમ જ વધી ગયો છે. એક જ સપ્તાહમાં હોટેલ્સમાં વીકેન્ડ ઓક્યુપન્સી ઝીરોથી સીધી 35 ટકા જેટલી થઈ ગઈ છે. તેવામાં ઓગસ્ટમાં તહેવારોની સીઝન દરમિયાન અમને પાછલા ખરાબ સમયનું સારું વળતર મળી રહેશે તેવી આશા છે.’

દુનિયામાં ફેલાયેલા કોરોના વચ્ચે ઘણા એનઆરઆઈ પરિવારો જે ભારત આવી નહોતા શક્યા અને જુદા જુદા પ્રતિબંધોને કારણે જેમણે ભારત આવવાનો પ્લાન પડતો મૂક્યો હતો તેવા દરેક લોકો દીવાળીના તહેવામાં ભારત આવી શકે છે. તેવામાં વેકેશન અને તહેવારની સીઝન સાથે સ્થાનિક અને વિદેશી ટુરિસ્ટો દીવની કથળી ગયેલી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં નવો પ્રાણ પૂરશે. ગત માર્ચ 2020થી અહીં હોટેલ ઇન્ડસ્ટ્રી નુકસાનમાં ચાલી રહી હોવાનું હોટેલ માલિકો કહી રહ્યા છે.

જોકે જુલાઈ મહિનામાં વરસાદની સીઝનના કારણે વધુ ટુરિસ્ટ નહીં આવે તેવું હોટેલ માલિકો માની રહ્યા છે પરંતુ ઓગસ્ટમાં સારો વેપાર થશે તેવી આશા છે. આ સાથે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેમના માટે ખૂબ જ મુશ્કેલી વધી જશે. તો આ સાથે જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રવાસન પોઇન્ટ ઓપન કરવામાં આવે જેથી વધુ માત્રામાં ટુરિસ્ટો આવે તેવું ઇચ્છી રહ્યા છે.

બીજી બાજુ, ઘણી વાવાઝોડાથી અસરગ્રસ્ત હોટલો હજુ રિનોવેટ થઈ રહી છે તેમજ હોટેલની બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હોવાના કારણે એટલી જલ્દી ખુલી શકશે નહીં. જ્યારે મોટાભાગનો કેટરિંગ સ્ટાફ ઉત્તર ભારતનો છે અને કોરોનાની બીજા લહેર દરમિયાન પોતાના મૂળ વતન માટે રવાના થઈ ગયા હોય અને હજી પાછા ફર્યા ન હોવાથી હોટેલ માલિકોને આ સમસ્યા પણ નડી રહી છે.

દીવના કલેક્ટર સલોની રાયે કહ્યું કે ‘કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને દીવમાં પણ છેલ્લા એક સપ્તાહમાં કોઈ કોરોના કેસ નોંધાયો નથી. જેથી અમે નજીકના ભવિષ્યમાં દીવના તમામ ટુરિસ્ટ પ્લેસ ઓપન કરવા માગીએ છીએ.’

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો