મૃત્યુ પ્રમાણપત્રમાં મોતનું કારણ COVID-19 જણાવવામાં કોઈ ક્ષતિ માટે જવાબદાર વિરૂધ્ધ થશે દંડનીય કાર્યવાહી: કેન્દ્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-06-2021

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે મૃત્યુ પ્રમાણપત્રમાં મોતનું કારણ COVID-19 જણાવવામાં કોઈ ક્ષતિ માટે જવાબદાર સાબિત થનારા લોકો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરશે, પછી ભલે તે ડોક્ટર પણ કેમ ન હોય.

સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલા સોગંદનામામાં, કેન્દ્ર સરકારે કહ્યું છે કે COVID-19ને લીધે થયેલા કોઈ પણ મોતને COVID-19 મોત તરીકે પ્રમાણિત કરાવવું ફરજીયાત છે. આમ ન કરવા પર પ્રમાણિત ન કરનારા ડોક્ટર સહિતના તમામ જવાબદાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. COVID-19 મૃત્યુની નોંધણી કરવા માટેની માર્ગદર્શિકાના કોઈપણ ઉલ્લંઘનને ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ ગુનો માનવામાં આવશે.

કેન્દ્રએ કહ્યું છે કે COVID-19 નિદાન થવા પર થતા મોતને COVID-19 મૃત્યુ તરીકે પ્રમાણિત કરાવવું જોઈએ. આ નિયમનો એકમાત્ર અપવાદ એ છે કે જ્યારે મૃત્યુનું સ્પષ્ટ વૈકલ્પિક કારણ હોય, જેમ કે આકસ્મિક આઘાત, ઝેર, વગેરે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે કોવિડ -19 વાયરસથી મરી ગયેલા લોકોના મૃત્યુ પ્રમાણપત્રોમાં તથ્યો છુપાવવાનો ઘણી વાર પ્રયાસ કરવામાં આવે છે. કોર્ટે કહ્યું હતું કે રિપોર્ટો મળી રહ્યા છે કે હોસ્પિટલોમાં COVID-19થી મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃત્યુ પ્રમાણપત્રોમાં, ફેફસાં અથવા હૃદયની સમસ્યાઓ વગેરે કારણો આપવામાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો