‘આપ’ના સર્વેસર્વા કોણ? ઇટાલિયા કે ઇસુદાન ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-06-2021

આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની એક દિવસીય મુલાકાત દરમિયાન પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીને ખેસ પહેરાવી આપમાં પ્રવેશ કરાવ્યો હતો. ઇસુદાનની આપમાં એન્ટ્રી થતાં જ હવે સૌકોઈના મનમાં એક જ સવાલ ઊભો થયો છે કે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનું શું થશે? શું ઈટાલિયાને સાઈડલાઈન કરી ઇસુદાનને આપનો ચહેરો બનાવાશે કે પછી નંબર ટૂ બનશે? ઈસુદાનનો પાર્ટીમાં શું રોલ હશે એ અંગે કેજરીવાલે ઈશારા ઈશારામાં ઘણું કહી દીધું છે.

આ ઉપરાંત નવા પ્રદેશ કાર્યાલયના પહેલા માળે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ઓફિસની સામે જ ઈસુદાન ગઢવીને ઓફિસ આપવામાં આવી છે. એટલું જ નહીં, ઇસુદાનની ઓફિસ મોટી છે, જ્યારે ગોપાલ ઇટાલિયાની ઓફિસ નાની છે.

અરવિંદ કેજરીવાલે જ્યારે પત્રકાર પરિષદના આરંભે ઈસુદાનને ખેસ પહેરાવીને તેમનું આપમાં સ્વાગત કર્યું, એ પછી પત્રકારોને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું કે હું અહીં આવ્યો એ પછી એરપોર્ટ પર એક કર્મચારીએ મારી પાસે સેલ્ફી ખેંચાવવા રિક્વેસ્ટ કરી. મેં તેમની સાથે સેલ્ફી ખેંચાવી એ પછી તેમણે મને પૂછ્યું કે તમે શા માટે અહીં આવ્યા છો? મેં તેમને કહ્યું, ઈસુદાન ગઢવીને આમઆદમી પાર્ટીમાં સામેલ કરાવવા હું અહીં આવ્યો છું તો તેમણે મને કહ્યું, ઈસુદાન તો અમારા ગુજરાતના કેજરીવાલ છે. અરવિંદ કેજરીવાલે આ વાત શેર કરીને ઈસુદાનને ગુજરાતના કેજરીવાલ બનાવવાનો સંકેત આપ્યો છે?

કેજરીવાલે પ્રેસ-કોન્ફરન્સ કર્યા બાદ આપના પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. આમઆદમી પાર્ટીએ નવા પ્રદેશ કાર્યાલય માટેનો બંગલો મહિને રૂ. 60000ના ભાડે લીધો છે. 1345 સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ પ્રદેશ કાર્યાલયના પહેલા માળે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની ઓફિસ પણ સામસામે છે, જ્યારે પ્રદેશ કાર્યાલયના નીચેના માળે બનાવવામાં આવેલી બે ઓફિસ સ્ટેટ સેક્રેટરી જયદીપ પંડ્યા અને મીડિયા ક્ધવીનર તુલી બેનર્જીની ઓફિસ છે.

ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન બન્ને હાલ લોકપ્રિય છે. આમઆદમી પાર્ટીના આ બન્ને નેતાઓનું સોશિયલ મીડિયા પર જબરું ફેન ફોલોઈંગ છે. ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયા પર કેટલાક રાજકીય મુદ્દાઓ અને જનજાગૃતિ અભિયાનો ચલાલવા માટે જાણીતા છે. પાટીદાર આંદોલન દરમિયાન તેઓ હાર્દિક પટેલના સાથી પણ રહી ચૂક્યા છે. બસ, ત્યારથી તેઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવવાને લઈ યુવા વર્ગમાં ખૂબ લોકપ્રિય છે.

તેમની આ લોકપ્રિયતા અને લોકપ્રશ્નો ઉઠાવવાની કળાને કારણે જ આમઆદમી પાર્ટીએ 6 મહિના પહેલાં જ તેમને આપના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. ત્યાર બાદ તરત જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી, જેમાં આપને નોંધપાત્ર સફળતા પણ મળી હતી. ખાસ કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપ કોંગ્રેસને હાંસિયામાં ધકેલીને મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો