(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ 18 માસ જેવો લાંબો સમય બાકી છે ત્યાં જ ગરમ બનેલા રાજકારણમાં એક તરફ ગાંધીનગરમાં ભાજપની બેઠકોનો દૌર ચાલી રહ્યો છે અને બીજી તરફ આજે રાજકોટમાં પાટીદાર એકતા અંગે ખોડલધામ ખાતે બેઠક થઇ હતી અને તેના રાજકીય પડઘા પણ પડી રહ્યા છે તે વચ્ચે સોમવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી રહ્યા છે.
‘આપ’ના સૂત્રોના જણાવ્યા મુજબ કેજરીવાલ સવારે 10:30 કલાકે દિલ્હીથી અમદાવાદ પહોંચશે અને અહીં પક્ષના મઘ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરશે અને પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનો સાથે બેઠક કરશે. ઉપરાંત અન્ય નેતાઓ તથા સામાન્ય કાર્યકરો સાથે પણ વાર્તાલાપ કરશે. કોરોનાના કારણે અન્ય કોઇ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.
અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતના પગલે નવો રાજકીય ગરમાવો શરૂ થવાનું માનવામાં આવી રહ્યું છે. એક તરફ ભાજપ મિશન 2022 વિશે મંથન કરી રહ્યું છે. તેવા સમયે આજે કાગવડ ખોડલધામમાં નરેશ પટેલે ‘આપ’ વિશે મહત્વનું નિવેદન કર્યુ હતું અને ત્યારે જ ‘આપ’ના વડા કેજરીવાલનું ગુજરાતમાં આગમન થવાનું છે ત્યારે આવતા બે દિવસ રાજકારણ ધમધમતું રહેવાનું માનવામાં આવી રહ્યું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો