મોરબીમાં નૂતન ભવનનું લોકાર્પણ, ગુજરાતની સરકારી કચેરીઓમાં કોર્પોરેટ બિલ્ડીંગો પણ ટક્કર મારે એવી છે સુવિધા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-06-2021

અત્યાર સુધીમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, ગીરસોમનાથ અને મોરબી જિલ્લા પંચાયતોના નૂતન ભવન નિર્માણ થઈ ગયાં છે જ્યારે સુરત, સુરેન્દ્રનગર, પંચમહાલ, ડાંગ અને ખેડા જિલ્લાપંચાયત ભવનોના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.

મોરબી જિલ્લા પંચાયતના અદ્યતન-નૂતન ભવનનું મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ઇ-લોકાર્પણ કર્યું હતું. મોરબી (Morbi) જિલ્લાના ૧૦ લાખ લોકોના હિત માટેની યોજનાઓનો જ્યાંથી અમલ કરાશે એવા મોરબી જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) કહ્યું હતું કે, લોકોનો સરકાર પ્રતિ વિશ્વાસ વધે અને કર્મચારીઓ સ્ફૂર્તિથી ફરજ બજાવીને સાચા અર્થમાં કર્મયોગીઓ બને એવું આ સુવિધાસભર ભવન રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને વિકાસનો ધોધ વહેવડાવનારું ભવન બની રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ કહ્યું હતું કે, ગાંધીજી (Gandhiji) ની કલ્પનાના પંચાયતી રાજ્ય વ્યવસ્થાના અસરકાર અમલથી ગુજરાતે સમગ્ર દેશને નવો રાહ બતાવ્યો છે. સત્તાનું–પાવરનું વિકેન્દ્રિકરણ એ આજના યુગની આવશ્યકતા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રના નાણા સીધા જ ગ્રામ પંચાયતોને આપીને ગ્રામપંચાયતોને પોતાના વિકાસ સ્વયં કરવાની સત્તા અને તક આપી છે.

લોકો પોતાનો ઇચ્છિત વિકાસ જાતે કરી શકે તેવી નેમ સાથે રાજ્ય સરકારે પણ ગ્રામપંચાયતને વધુ અધિકારો સાથે સક્ષમ કરી છે. જિલ્લા પંચાયતો લોકશાહીનું સારી રીતે જતન કરે અને માર્ગદર્શક સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે પરિણામે વ્યવસ્થિત વિકાસ થાય એ હેતુથી પંચાયતોને સ્વંતત્રતા આપવામાં આવી છે.

વિજય રૂપાણી (Vijay Rupani) એ કહ્યું કે, જિલ્લા પંચાયતો સહિત સરકારી કચેરીઓના ભવનો સુવિધાસભર હોય અને કોર્પોરેટ બિલ્ડિંગો કરતાં પણ ગુજરાત સરકારની કચેરીઓના ભવનો આધુનિક હોય એ દિશામાં ગુજરાત મોડેલ સ્ટેટ બની રહ્યું છે. રાજ્ય સરકાર (State Government) આ માટે જે તે જિલ્લા પ્રશાસનને અનુદાન આપે છે. અત્યાર સુધીમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, ગીરસોમનાથ અને મોરબી જિલ્લા પંચાયતોના નૂતન ભવન નિર્માણ થઈ ગયાં છે જ્યારે સુરત, સુરેન્દ્રનગર, પંચમહાલ, ડાંગ અને ખેડા જિલ્લાપંચાયત ભવનોના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ કહ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. પરંતુ કોરોના સામે સાવચેત રહેવાની આવશ્યકતા છે. તજજ્ઞો ત્રીજા વેવની સંભાવના વિષે કહી રહ્યા છે ત્યારે મોરબી (Morbi) જિલ્લો પણ સજાગ અને સાવધાન રહે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

‘મારૂ ગામ કોરોનામુક્ત ગામ’નો ઉમદા વિચાર મોરબી જિલ્લાએ આખા રાજ્યને આપ્યો છે, એમ કહીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના (Coronavirus) ના કેસો ખૂબ જ વધારે હતા ત્યારે મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન અહીંના યુવાનોના ગામડાઓને સુરક્ષિત રાખવાના પ્રયત્નોની જાણકારી મળી હતી. મોરબી જિલ્લાની આ પ્રેરણાદાયી પહેલનો આખા રાજ્યમાં સારી રીતે અમલ થઇ શક્યો આ માટે તેમણે મોરબી (Morbi) જિલ્લાને અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, મોરબી જિલ્લો હંમેશા પડકારોને પોંખીને આગળ વધ્યો છે. રાજાશાહી યુગમાં પણ ‘પેરિસ’ કહેવાતું મોરબી આજે ઘડિયાળ, ટાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને નળિયા ઉત્પાદનને કારણે ઔદ્યોગિક રીતે અગ્રેસર છે. મોરબી આજ રીતે વિકાસશીલ અને આધુનિક બની રહે એવી શુભકામનાઓ વિજય રૂપાણીએ આપી હતી. તેમણે રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લાપંચાયતના ભવન માટે જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જિલ્લાના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. 

સમારોહના આરંભે પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે સ્વાગત ઉદ્દબોધનમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર જિલ્લાપંચાયતોના ભવનના નિર્માણ માટે રૂ. ૨૯ કરોડ અને તાલુકાપંચાયતના ભવન નિર્માણ માટે રૂ. ૨.૫ કરોડ જેટલી માતબર રકમનું અનુદાન આપે છે. એટલું જ નહી ગ્રામપંચાયતોને નવા મકાનના બાંધકામ માટે વસતીના ધોરણે અનુદાન આપવામાં આવી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં ૯૨ તાલુકા પંચાયતોના નવા ભવનોનું નિર્માણ થઈ ગયું છે અને ૨,૨૨૭ ગ્રામપંચાયતોના નવા ભવનો બંધાયા છે જ્યારે ૧,૦૦૭ ગ્રામ પંચાયતોના નવા ભવનોના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા, મોહનભાઇ કુંડારિયા, મહેન્દ્રભાઇ મુંજપરા, પૂનમબેન માડમ, ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પરસોત્તમભાઇ સાબરિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ, પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા તથા જિલ્લાના પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંતમા રાજ્યના વિકાસ કમિશનર નલિન ઉપાધ્યાયે આભારવિધિ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો