તૌકતે વાવાઝોડામાં નુકસાન પામેલા મકાનના માલિકોને સરકાર 95 હજાર સુધીની સહાય ચૂકવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોના પાક, વૃક્ષો અને કાચા-પાકા મકાનો પણ તૂટી ગયા છે. આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું.

શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને સર્વેની કામગીરી વેગવાન બનાવવા માં આવી છે. નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો મુખ્યમંત્રીએ જાહેર કર્યા છે

નક્કી કરવામાં આવેલા ધોરણ

-વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

– અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળીયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે 25,000ની સહાય અપાશે

– આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે 10,000ની સહાય

-તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે 5000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે

મુખ્યમંત્રીએ રાજ્યમાં આવા મકાનોના સર્વેની હાલ ચાલી રહેલી કામગીરીને ત્વરાએ પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવશ્રીઓ પંકજ કુમાર, એ. કે. રાકેશ, એમ. કે. દાસ તેમજ અગ્રસચિવ ડૉ. જયંતી રવિ અને વરિષ્ઠ સચિવશ્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો